જામનગર શહેરની શાન સમાન લાખોટા તળાવ પાસે આવેલા ઐતિહાસિક ભુજીયા કોઠાનું રિનોવેશન કામ પૂર્ણ થતા આવતીકાલથી પ્રવાસીઓ ભુજીયા કોઠાની મુલાકાત લઈ શકશે, રક્ષિત સ્મારકને આવતીકાલથી સહેલાણીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે....
જામનગરના નગરજનો અને બહારગામના પ્રવાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો હવે અંત આવ્યો છે. જામનગર નો ઐતિહાસિક ભુજીયો કોઠો આવતી કાલે ખુલ્લો મુકવામાં આવી રહ્યો છે.
જામનગર શહેરની શાન સમાન એવા રણમલ તળાવ પાસે ઈ.સ. ૧૮૪૦ માં દુષ્કાળ રાહત કામગીરી માટે આ ગોળ બાંધણી ધરાવતા કલાત્મક અને આકર્ષક ભુજીયા કોઠાનું સંગીન બાંધકામ કરાવેલ.
જેનો ઉપયોગ વોચ ટાવર તથા શસ્ત્રાગાર તરીકે થતો હતો, તેમજ તેનુ બાંધકામનું કામ ઈ.સ. ૧૮૩૯ થી ૧૮૫૨ એટલે કે ૧૪ વર્ષ જેટલો સમય લાગ્યો હતો તથા ૧૭૪ વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં સૌથી ઉંચી ઈમારત (સ્કાય સ્કેપર) કહેવાતી હતી, જેનું કંઝર્વેશન, રેસ્ટોરેશન, કન્સોલિડેશન અને રી-પ્રોડકશનનુ કામ પૂર્ણ કરવામાં આવેલ છે.
આ રક્ષિત સ્મારકને સહેલાણીઓને નિહાળવા માટે તા.૧૯/૦૩/૨૦૨૬ ના રોજ ગુરુવાર થી ખુલ્લું મુકવામાં આવશે તેમજ સહેલાણીઓને આ ભુજીયા કોઠા રક્ષિત સ્મારકની ઉંચાઈ તેમજ તેની બાંધકામ શૈલીને ધ્યાને લઇ અકસ્માત નિવારવા તેમજ સલામતીના ભાગરૂપે આ ઈમારતના પ્રથમ બે માળ માટે ૫૦ વ્યક્તિ તથા ઉપરના ત્રણ માળ માટે ૨૫ વ્યક્તિને વારાફરતી ઉપર નિહાળવા જવા દેવામાં આવશે.
જેમાં જામનગરના તથા બહારથી આવતા સહેલાણીઓને આ ભુજીયા કોઠા રક્ષિત સ્મારકને નિહાળવા આ નિયમનું પાલન કરવા અપીલ છે તથા જામનગર મહાનગરપલીકા તંત્રને સાથ સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.