જામનગર જિલ્લામાં ભાડુઆતને મકાન આપતા પૂર્વે મકાન માલિકો માટે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

  • March 16, 2023 08:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં ભાડુઆતને મકાન આપતા પૂર્વે મકાન માલિકો માટે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા



જામનગર પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં લેતા અને ભૂતકાળમાં રાજ્યમાં અમદાવાદ, સુરત, મોડાસામાં થયેલા બૉમ્બ બ્લાસ્ટ જેવા આતંકવાદી કૃત્યોને અટકાવવા માટે અને ગુપ્તચર સંસ્થાઓ દ્વારા વખતો-વખત મળતા અહેવાલોને ધ્યાને રાખીને તાજેતરમાં નવા પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં કોઈ આતંકવાદી કૃત્યો ન બને અને આવા કૃત્ય કરવાના ઈરાદો ધરાવતા ઈસમોને અટકાવવા, શહેરમાં કાયદો- વ્યવસ્થા અને શાંતિ- સલામતીની પરિસ્થિતિ જળવાઈ રહે, તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.એન. ખેર, જામનગર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનું જિલ્લાના મકાન માલિકોએ અજાણ્યા લોકોને મકાન ભાડે આપતા પૂર્વે પાલન કરવું પડશે. 



જામનગર જિલ્લામાં વિશાળ દરિયા- કિનારો અને ઔદ્યોગિક વિસ્તારો હોવાથી બહારના રાજ્યોમાંથી આવતા લોકોની ધંધા- રોજગાર અર્થે અવર- જવર રહે છે. આ લોકોની કોઈ પૂરતી માહિતી મળતી ન હોવાથી ગુનેગારીનું પ્રમાણ વધી શકે છે. તેથી જામનગર જિલ્લામાં કોઈ મકાન માલિક અથવા તો મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિને જયારે પરપ્રાંતીય લોકોને મકાન ભાડે આપે ત્યારે મકાન ભાડે આપ્યાની તારીખથી દિવસ 08 સુધીમાં નીચે જણાવેલા માહિતી પત્રકમાં જરૂરી વિગતો ભરીને, જે- તે વિસ્તારના સંબંધિત પોલીસ સ્ટેશનને ભાડુઆતના ઓળખ પત્રની નકલ સાથે રૂબરૂમાં અથવા તો ટપાલથી મોકલી આપવાની રહેશે. 



પોલીસ સ્ટેશન કક્ષાએથી મકાનની માલિકીનો આધાર કે ભાડા કરાર, વેરા પહોંચ જેવા પ્રમાણિત આધાર પુરાવાની નકલ માલિક પાસેથી માંગવાની રહેશે નહીં કે રૂબરૂ બોલાવવાના રહેશે નહીં. આ પ્રતિબંધાત્મક હુકમનો ભંગ/ ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ- 188 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ પ્રતિબંધાત્મક હુકમ આગામી તા. 14/05/2023 સુધી અમલમાં રહેશે. 



મકાન માલિકે ભાડુઆતને મકાન ભાડે આપતી વખતે જમા કરાવવાનું થતું માહિતી પત્રક અને આધાર- પુરાવાની યાદી

(1) ભાડેથી આપેલા મકાનનું પૂરું સરનામું.
(2) મકાન માલિક/ મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ, સરનામું અને ફોન નંબર.
(3) મકાન ક્યારે ભાડે આપેલ છે ? તેની વિગતો ભરવી. 
(4) કઈ વ્યક્તિને મકાન ભાડે આપેલ છે ? તેમનું પૂરું નામ, વતનનું સરનામું અને ફોન નંબર.
(5) મકાન માલિકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ, સરનામું અને ફોન નંબર- આ તમામ વિગતો મકાન માલિકે જમા કરાવવાની રહેશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application