ખંભાળીયા: વિરપરના યુવાન પર પરિવારજનો દ્વારા હુમલો
કલ્યાણપુર તાલુકાના વીરપર ગામે રહેતા હમીરભાઈ માંડણભાઈ ચાવડા નામના ૪૨ વર્ષના યુવાન પર તેમના કુટુંબી એવા વીજીબેન ભીખાભાઈ ચાવડા, ખીમાભાઈ ડાડુભાઈ પાઉ, રેખાબેન ભીખાભાઈ ચાવડા અને મણીબેન ભીખાભાઈ ચાવડાએ બોલાચાલી કરી, દાતરડા, કુહાડા અને ધોકા વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી હમીરભાઈના ઘરની બહાર નીકળતા રસ્તામાં બેલાની કાચી દિવાલ હોય, જેથી તેમણે આરોપીઓને કહેલ કે આ કાચી દિવાલથી રસ્તો બંધ થઈ ગયો છે. આનાથી ઉશ્કેરાઈ ગયેલા આરોપીઓએ હુમલો કર્યો હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
જે અંગે કલ્યાણપુર પોલીસે મહિલાઓ સહિત તમામ ચાર આરોપીઓ સામે બીએનએસ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.