જામનગરના બાયોડાયવર્સિટી પાર્ક ખાતે 'વનમાં યોગ' દ્વારા 100થી વધુ પ્રકૃતિપ્રેમીઓની યોગસાધના
માત્ર એક દિવસ પુરતી જ ઉજવણીના બદલે પર્યાવરણ અને યોગને સંયુક્ત રીતે જીવનશૈલી બનાવવાની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પહેલ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો
દેશ-વિદેશમાં થયેલી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને હાર્ટફુલનેસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે જામનગર શહેર મધ્યેના બાયોડાયવર્સિટી પાર્ક ખાતે અનોખા અને પ્રેરણાદાયી "વનમાં યોગ" શિર્ષક તળે વિશિષ્ટ યોગસાધના યોજાઈ હતી.આ ઉજવણીનો હેતુ માત્ર એક દિવસ માટે યોગાભ્યાસ પુરતો સિમિત ન રહી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પર્યાવરણીય જતન અને માનવીય સ્વાસ્થયની સંયુક્ત પહેલ અંતર્ગત પર્યાવરણ સાથે યોગને જીવનશૈલી બનાવવાનો રહ્યો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના પ્રેરણાદાયી માર્ગદર્શન તથા હાર્ટફુલનેસ સંસ્થાના વૈશ્વિક માર્ગદર્શક કમલેશભાઈ પટેલ(દાજી)ના આધ્યાત્મિક નેતૃત્વ તળે યોજાયેલો આ કાર્યક્રમ સર્વાંગી લોક સુખાકારી, આંતરિક પરિવર્તન તથા પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવવામાં સતત પ્રેરણારૂપ બન્યો હતો. મહત્વપૂર્ણ છે કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી જમીન પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સહયોગી સંસ્થાઓના સહકારથી વિકસાવવામાં આવેલ સોનલનગર બાયોડાયવર્સિટી પાર્ક શહેરી પર્યાવરણ પુનઃસ્થાપનનું એક ઉત્તમ ઉદાહરણ છે. ચોતરફ વૃક્ષોથી ઘેરાયેલાં આ સમૃદ્ધ શહેરી વનના વાતાવરણમાં 100થી વધુ યોગસાધકો, પ્રકૃતિપ્રેમીઓ અને વિશાળ સંખ્યામાં શહેરીજનોએ ઉત્સાહપૂર્વક સામુહિક યોગ કર્યા હતા.
આ ઉજવણીએ યોગ થકી ન માત્ર શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવનો સંદેશ આપ્યો હતો.પરંતુ, મહાનગરોના નિર્માણમાં સ્વસ્થ અને હરિયાળા શહેરી વનોના મહત્વ અંગે જાગૃતિ લાવવવાની અનુકરણિય ટકોર પણ કરી હતી.પ્રકૃતિના સાનિધ્યમાં યોજાયેલાં યોગાભ્યાસ બાદ ઉપસ્થિત સૌએ હાર્ટફુલનેસ ધ્યાન સત્રમાં ભાગ લઈ પોતાની સાથે ગાઢ પર્યાવરણીય જોડાણનો અનુભવ પણ કર્યો હતો.
આ અનોખી પહેલે દર્શાવ્યું કે સ્વાસ્થ્ય અને પ્રકૃતિ એકબીજાના પૂરક છે. સાથે જ ઉજવણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ફોરેસ્ટ બાય હાર્ટફુલનેસ અને જામનગર મહાનગરપાલિકાની પર્યાવરણ સંરક્ષણ અને સામુદાયિક કલ્યાણ પ્રત્યેની સંયુક્ત પ્રતિબદ્ધતાને પણ ઉજાગર કરી હતી. કાર્યક્રમે એ પણ સંદેશ આપ્યો હતો કે શહેરી વિસ્તારોમાં હરિયાળા સ્થળોનું સર્જન અને સંવર્ધન માત્ર જૈવ વૈવિધ્યતા માટે જ નહીં, પરંતુ નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે પણ અત્યંત આવશ્યક છે. અંતમાં,100થી વધુ સહભાગીઓ યોગને ઉજવવાનો, પ્રકૃતિને અપનાવવાનો અને સૌ માટે વધુ સ્વસ્થ, હરિયાળું અને ઉજ્જવળ ભવિષ્ય સર્જવા માટે પ્રેરણા આપવાનો સંકલ્પ લીધો હતો.