અખંડ રામધુનની આલેખ જગાવનાર પ્રેમભિક્ષુજી મહારાજની કાલે પુણ્યતિથી
દ્વારકામાં સમુદ્રપુજન, મહાઆરતી, મહાપ્રસાદ, શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે: જામનગરમાં પણ આવતીકાલે સાંજે ગુરૂપુજન અને મહાપ્રસાદનું આયોજન
સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં શ્રી રામ જય રામ જય જય રામની અખંડ રામધુનની આલેખ જગાવનાર પરમપુજય પ્રેમભિક્ષુજી મહારાજની આવતીકાલે ૫૬મી પુણ્યતિથી હોય દ્વારકા અને જામનગરમાં તેમની પુણ્યતિથી નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
જામનગરમાં લાખોટા તળાવે આવેલ સુપ્રસિઘ્ધ બાલા હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે સાંજે ગુરૂપુજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે. સાથોસાથ દ્વારકામાં પણ અખંડ રામધુન સંકીર્તન મંદિરે મંગળવારે ચૈતન્યાવતાર પૂ.પ્રેમભિક્ષુજી મહારાજની ૫૬મી પુણ્યતિથી મહોત્સવ ભકિતભાવપૂર્વક ઉજવાશે સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા, રાજકોટ, જુનાગઢ, વેરાવળ, મહુવા, પોરબંદર સહિતના શહેરોમાં અખંડ રામધુન ચાલે છે અને અસંખ્ય ભકતો આ રામધુનમાં જોડાઇને ધન્યતા અનુભવતા હોય છે.
દ્વારકાના અખંડ હરીનામ સંકીર્તન મંદિરમાં નામનિષ્ઠ સંત પૂ.શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની ૫૬મી પુણ્યતિથી મહોત્સવ તા.૭/૪/૨૦૨૬ના દિને ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે.
પુણ્યતિથી મહોત્સવ અંતર્ગત સવારે ૮.૩૦ કલાકે સમુદ્ર પૂજન, સવારે ૧૦.૩૦ કલાકે અભિષેક પૂજન, બપોરે ૧૨ કલાકે ઉત્સવ આરતી, બપોરે ૧૨.૩૦ કલાકે ગુરૂપ્રસાદી ગુગળી બ્રાહ્મણ બ્રહ્મપુરી નં.(૧)માં રાખેલ છે.
આ ઉપરાંત સાંજે ૬.૩૦ કલાકે બ્રહ્મલીન સમય આરતી બાદ શોભાયાત્રા સંકીર્તન મંદિરથી નીકળીને દ્વારકાના રાજમાર્ગો પર નગરભ્રમણ કરશે.
આ ઉપરાંત પુણ્યતિથી મહોત્સવ પુર્વે હનૃમાન ચાલીસા, નામવંદના, સુંદરકાંડ તથા શીવપંચાક્ષર સ્ત્રોતના પાઠનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં બહોળી સંખ્યામાં રામભકતો જોડાયા હતા આવતીકાલે યોજાનારા કાર્યક્રમોમાં જોડાવવા તમામ ભકતજનોને અખંડ હરીનામ સંકીર્તન ટ્રસ્ટ, દ્વારકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.