જામનગરમાં વોર્ડ નં.૯ માં માર્ગો પર ગંદા પાણીની રેલમછેલ, રહેવાસીઓમાં દેકારો
મંદીરો, જીનાલયો આવ્યા હોય લોકોની દુભાતી ધાર્મિક લાગણી, ફરિયાદોનો કોઇ ઉકેલ નહીં
શેરી અને ગલીઓમાં સફાઇ કામગીરીમાં પણ લોમંલોમથી ગંદકી સહીતની સમસ્યા
જામનગરમાં વોર્ડ નં.૯ માં માર્ગો પર ગંદા પાણીની રેલમછેલથી રહેવાસીઓમાં દેકારો બોલી ગયો છે. મંદીરો, જીનાલયો આવ્યા હોય લોકોને ફરજીયાત આ પાણીમાંથી પસાર થવું પડતા ધાર્મિક લાગણી દુભાઇ રહી છે. શેરી અને ગલીઓમાં સફાઇ કામગીરીમાં પણ લોલંલોલથી ગંદકી સહીતની સમસ્યા હોવાની ફરિયાદો પણ ઉઠી છે. આ બાબતે ફરિયાદો કરવા છતાં કોઇ નકકર ઉકેલ આવતો નથી.
જામનગરના વોર્ડ નં.૯ માં હવેલી રોડ પર છાશવારે માર્ગો પર ગંદા પાણીના તલાવડા ભરાય છે. આ મુખ્ય માર્ગ હોય તથા આ માર્ગ મારફત મંદીરો, જીનાલયો તથા હવેલીએ જવાનું હોય ગંદા પાણીમાંથી લોકોને પસાર થવું પડતા ધાર્મિક લાગણી દુભાઇ રહી છે. આટલું જ નહીં શેરી-ગલીઓમાં યોગ્ય રીતે સફાઇ કામગીરી થતી ન હોવાની ફરિયાદો પણ જોરશોરથી ઉઠી છે. જેના કારણે ગંદકી તથા મચ્છર સહીતના જીવજંતુઓનો ઉપદ્વવ વઘ્યો હોવાની રાવ પણ રહેવાસીઓએ કરી છે. તદઉપરાંત ખાસ કરીને આ સમસ્યા બાબતે અનેક વખત રજૂઆતો અને ફરિયાદો તંત્રને કરી હોવા છતાં કોઇ ઉકેલ ન આવતા રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.