BREAKING NEWS

ખંભાળીયા: બેંકમાંથી લીધેલ લોન પર વ્યાજ સબસીડી આપવાની યોજનાનો લાભ લેવા અનુરોધ

  • May 21, 2026 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા: બેંકમાંથી લીધેલ લોન પર વ્યાજ સબસીડી આપવાની યોજનાનો લાભ લેવા અનુરોધ

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજયના સફાઈ કામદારો અને તેમના આશ્રિતો દ્વારા બેંકમાંથી લીધેલ લોન પર વ્યાજ સબસીડી આપવા માટેની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં ભારતમાં અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે માટે ૬% વ્યાજ સબસીડી અને લાભાર્થીદીઠ મહત્તમ વાર્ષિક સહાય વધુમાં વધુ ત્રણ વર્ષ માટે રૂ.૧.૫ લાખની મર્યાદામાં, સ્વરોજગારી માટે બેંકમાંથી લીધેલ લોન પર વ્યાજ સબસીડી પુરુષ લાભાર્થી માટે ૬% અને મહિલા લાભાર્થી માટે ૭% તેમજ મહત્તમ વાર્ષિક સહાય પુરૂષ લાભાથી માટે ૬૦ હજાર અને મહિલા લાભાથી માટે ૭૦ હજારની મર્યાદામાં, બેંક મારફતે ધંધા/રોજગાર અર્થે ખરીદેલ વાહન માટે માટે ૬% વ્યાજ સબસીડી અને લાભાર્થીદીઠ મહત્તમ વાર્ષિક સહાય વધુમાં વધુ ત્રણ વર્ષ માટે રૂ.૧.૨ લાખની મર્યાદામાં મળવાપાત્ર રહેશે. આ માટે સફાઈ કામદાર અને તેમના આશ્રિત અરજદારો પાસેથી ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. નિયત નમૂનાની અરજી જે તે જિલ્લાની નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી ખાતેથી મેળવવાની રહેશે. અરજી કરતા પહેલા યોજનાની વિગતો અવશ્ય વાંચી લેવા જણાવવામાં આવે છે.

યોજનાની પાત્રતાની શરતો:
૧) લાભાર્થી ગુજરાત રાજયના વતની હોય અને સફાઈ કામદાર અને તેમના આશ્રિત અરજદાર હોય.
૨) લાભાર્થી દ્વારા બેંકમાંથી મેળવેલ લોન અંગેનો પુરાવો રજૂ કરવાનો રહેશે.
૩) ભારતમાં અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસના હેતુ માટે બેંક મારફતે લીધેલ લોન પર રૂ.૨૫ લાખ સુધીની મર્યાદામાં વ્યાજ સહાય મળવાપાત્ર થશે.
૪) સ્વરોજગાર માટે બેંકમાંથી લીધેલ લોન પર રૂ. ૧૦ લાખ સુધીની મર્યાદામાં વ્યાજ સહાય મળવાપાત્ર થશે.
૫) પરિવહન અર્થે ધંધા રોજગાર માટે ખરીદ કરેલ વાહન માટે રૂ.૫ લાખથી રૂ.૨૦ લાખની મર્યાદામાં લીધેલ લોન પર વ્યાજ સહાય મળવાપાત્ર થશે.
૬) ઉચ્ચ અભ્યાસ માટે વિધાર્થીએ ધોરણ ૧૨માં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ અને વિધાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદામાં ધ્યાને લેવામાં આવશે નહી.
૭) સ્વરોજગાર-પરિવહન માટે લાભાર્થીની ઉંમર ૨૧ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇએ અને વાર્ષિક આવક ધ્યાને લેવામાં આવશે નહી. ૮) પરિવહન યોજના અંતર્ગત વ્યાજ સહાય મેળવનાર લાભાર્થી ધંધા રોજગાર માટે ખરીદેલ વાહન પાંચ વર્ષ સુધી વેચાણ કરી શકશે નહી.
૯) પરિવહન યોજના અંતર્ગત બેંક દ્વારા મંજૂર થયેલ લોન અન્વયે ખરીદેલ વાહનના આર.સી. બુકની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે.
૧૦) પરિવહન યોજના અંતર્ગત ખરીદેલ વાહનનું રજિસ્ટ્રેશન આર.ટી. ઓમાં બિઝનેસ પર્પઝ (ટેક્સી,મેક્સી,ટ્રાન્સપોર્ટ )વેહિકલ તરીકે કરાવવાનું રહેશે.
૧૧) લાભાર્થી નિગમ દ્વારા અમલી શૈક્ષણિક અને સ્વરોજગાર યોજના અથવા વ્યાજ સહાય યોજના આ બંને પૈકી કોઈ એક જ યોજનાનો લાભ  મેળવી શકશે.
૧૨) લોનના હપ્તા પેટે વર્ષ દરમિયાન મુદ્દલ અને વ્યાજની ભરેલ કુલ રકમની વિગત દર્શાવતા બેંકના સહી સિક્કાવાળા આધાર-પુરાવા લાભાર્થી દ્વારા રજૂ થયેથી વ્યાજ સહાય સીધી જ લાભાર્થીના બચત ખાતામાં જમા મળવાપાત્ર થશે.

આ યોજનાનો લાભ લેવા જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, દેવભૂમિ દ્વારકા દ્વારા વિનંતી કરવામાં આવે છે. ઉપરાંત વિશેષ માહિતી માટે જિલ્લા મેનેજર ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, જિલ્લા સેવા સદન ગ્રાઉન્ડ ફલોર રૂમ નં સી/જી ૧૧-૧૨, ધરમપુર લાલપુર બાયપાસ રોડ, મું.તા.ખંભાળીયા, જિ.દેવભૂમિ દ્વારકાનો સંપર્ક કરી શકાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application