જામનગર નજીક રેલવેનો પાટો તૂટયો, માલગાડી અટકાવતા મોટી દુર્ઘટના ટળી
અંધાશ્રમ નજીકનો બનાવ, કર્મચારીઓ દ્રારા રેલવે ટ્રેકની તાકીદે મરામત કરવામાં આવી આકારા તાપને કારણે પાટામાં તીરાડ પડ્યાનું અનુમાન: થોડો સમય ટ્રેનનું આવાગમન બંધ રહ્યું
જામનગર-લાખા બાવળ રેલ માર્ગે અંધાશ્રમ નજીક રેલવે ટ્રેકમાં ક્રેક જોવા મળતાં રેલવે વિભાગ સતર્ક બન્યો હતો. રેલવેના પાટો તૂટી ગયાની જાણ સમયસર થતાં તાત્કાલિક અસરથી પસાર થતી માલગાડીને અટકાવામાં આવતા સંભવિત મોટી દુર્ઘટના ટળી ગઈ. આ ઘટનાની જાણ થતાં જ રેલવે સ્ટાફ તરત જ સ્થળ પર દોડી આવ્યો અને તાકીદે મરામતની કામગીરી હાથ ધરી હતી. થોડા જ સમયમાં પાટાની મરામત પૂર્ણ કરવામાં આવી હતી અને બાદમાં રેલવે વ્યવહાર ફરી શરૂ કરાયો હતો.
જામનગરમાં અંધાશ્રમ પાસેના વિસ્તારમાં ગઇકાલે રેલ્વેના કી-મેન અશોકકુમારે સવારે રેલ્વે ટ્રેક ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા હતા . આ દરમિયાન ૯:૫૦ કલાકે રેલવે ના પાટા તૂટેલા જોવા મળ્યા હતા. જેને રેલ્વેની ભાષામાં વેલ્ડ ફ્રેક્ચર કહેવામાં આવે છે. આ બનાવ અંગે તત્કાલિક ધોરણે સમયસૂચકતા વાપરીને ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. આ સમયે ત્યાંથી પસાર થનાર માલગાડીને રોકી દેવામાં આવી હતી. તેમજ રેલવેનો એન્જિનિયરિંગ સ્ટાફ તાકીદે દોડી ગયો હતો અને મરામત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી.
ત્યારબાદ ૧૧:૧૦ કલાકે ટ્રેન વ્યવહાર પુન: શરૂ કરી દેવામાં આવ્યો હતો. આમ રેલ્વે કર્મચારીની સમય સૂચકતાના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો. રેલ્વે વિભાગની ચુસ્ત કામગીરીને કારણે મુસાફરો અને માલસામાન બંને સુરક્ષિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application