જામનગર: આપના ધારાસભ્ય ચૈતર વસાવાને સજા સામે કાનૂની રાહે લડત અપાશે: હેમત ખવા
વિપક્ષના અવાજને ડામવા ભાજપની પ્રેસર ટેકનીકનો ચોંકાવનારો અને સણસણતો આક્ષેપ
જનતાના અધિકારો માટેની લડત આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનાવવાની આપના ધારાસભ્યની ચિમકી
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને સજા સામે કાનૂની રાહે તમા લડત આપવામાં આવશે તેમ જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમત ખવાએ જણાવી આ વિપક્ષના અવાજને ડામવા ભાજપની પ્રેસર ટેકનીક હોવાનો ચોંકાવનારો અને સણસણતો આક્ષેપ કર્યો છે. આટલું જ નહીં જનતાના અધિકારો માટેની લડત આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનવાની ચિમકી પણ આપના ધારાસભ્યએ ઉચ્ચારી છેે.
આમ આદમી પાર્ટીના નેતા અને આદીવાસી સમાજના પ્રશ્ર્નોને વાચા આપનાર ધારાસભ્ય ચૈતર વસાવાને ગઇકાલે વનકર્મીઓ પરના હુમલા પ્રકરણમાં અદાલતે ૭ વર્ષની સજા ફટકારી હતી. જેના ઘેરા પડઘા રાજયમાં પડયા છે. આ અંગે જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુર વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમત ખવાએ ગઇકાલે પત્રકાર પરિષદમાં સતધારી પક્ષ ભાજપ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આપના ધારાસભ્ય ચૈતર વસાવાને ફટકારવામાં આવેલી સજાએ ફકત કાયદાકીય પ્રક્રીયા નથી પરંતુ વિપક્ષના મજબૂત અવાજને ખાસ કરીને આદીવાસી સમાજના હક માટે લડતા લોકનેતાને રાજકીય રીતે ટાર્ગેટ કરવાનું સુનિયોજીત ષડયંત્ર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શાસક પક્ષ ભલે વિપક્ષના અને આદીવાસી સમાજના પ્રશ્ર્નો ઉઠાવનાર નેતાઓનો અવાજ દબાવવાના ગમે તેટલા પ્રયત્નો કરે. પરંતુ લોકશાહીમાં જનતાનો અવાજ કયારેય દબાવી શકાતો નથી. સતાના મદમાં રાચતા ભાજપના શાસકો એ ન ભૂલવું જોઇએ કે લોકશાહીમાં જનતા જ સર્વોપરી છે. આજે વિપક્ષને ડરાવવાનો જે પ્રયાસ થઇ રહ્યો છે તેનો જવાબ ગુજરાતની જનતા યોગ્ય સમયે આપશે. ન્યાયતંત્ર પર અમને પૂર્ણ ભરોસો છે. આથી ધારાસભ્ય ચૈતર વસાવાની સજા સામે કાનૂની રાહે તમામ પ્રક્રીયા અનુસરી અંત સુધી લડત આપવામાં આવશે. આટલું જ નહીં જનતાના અધિકારોની આ લડત ભવિષ્યમાં વધુ ઉગ્ર બનવાની ચિમકી પણ તેઓએ ઉચ્ચારી હતી.પત્રકાર પરીષદમાં આમ આદમી પાર્ટીના જામનગર જિલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડ અને શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા તથા અન્ય આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.