BREAKING NEWS

ખંભાળીયા: ચાંદીપુરા વાયરસને લઇને દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના પગલાં જાહેર

  • July 15, 2026 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા: ચાંદીપુરા વાયરસને લઇને દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના પગલાં જાહેર

સતત ઝાડા ઉલ્ટી, શરીરમાં ખેંચ આવવી જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી

૧૫ વર્ષથી નાના બાળકોમાં ફેલાતો ચાંદીપુરા વાયરસના ચેપને અટકાવવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગંભીરપણે કામગીરી કરી રહ્યું છે. આ વાયરસના ચેપને અટકાવવા માટે વિશેષ ટીમો સક્રિય રીતે મોનિટરિંગ કરી રહી છે. આ વાયરસથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ચાંદીપુરા વાયરસની જાગૃતિ અંગે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.

સૌપ્રથમ આ વાયરસ ૧૯૬૫ માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં જોવા મળ્યો હતો. ૧૫ વર્ષથી નાના બાળકોમાં આ ચેપ જોવા મળે છે. લક્ષણો દેખાતા તાત્કાલિક તબીબી સારવાર લેવી જરૂરી હોય છે. કાચા ઘરોની દીવાલોની તિરાડો અને છીદ્રમાં આ ચેપ ફેલાવતી ઘાતક સેન્ડફલાય માખીઓ વિકસે છે. ચાંદીપુરા વાયરસ સેન્ડફલાય નામની અત્યંત નાની માખી કરડવાથી ફેલાય છે. આ ઘાતક માખીઓ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના કાચા ઘરોની દીવાલોની તિરાડો, છિદ્રો અને ભેજયુક્ત લીંપણવાળા વાતાવરણમાં જોવા મળે છે. આવી જગ્યાએ જ આ ચેપ ફેલાવતી માખીઓ ફુલેફાલે છે.

આ રોગમાં બાળકને શરૂઆતમાં અચાનક તીવ્ર તાવ આવે છે. તાવ આવ્યા બાદ સતત ઝાડા ઉલ્ટી થવી, શરીરમાં ખેંચ આવવી જેવા લક્ષણો જોવા મળે છે. પરિસ્થિતિ વધુ બગડતાં બાળક અર્ધબેભાન કે સંપૂર્ણ બેભાન પણ થઈ શકે છે. આ લક્ષણો એટલા ઝડપી અને ઘાતક હોય છે કે જો આવા લક્ષણો દેખાયાના ૨૪ થી ૪૮ કલાકમાં તાત્કાલિક તબીબી સારવાર ન મળે તો બાળકનું મૃત્યુ થવાનું જોખમ પણ રહેલું છે.

આ વાયરસથી રક્ષણ માટે ઘરની અંદર અને બહારની દીવાલોની તિરાડો અને છિદ્રોને સિમેન્ટ કે માટીથી પૂરી દેવા. ઘરમાં પૂરતો સૂર્યપ્રકાશ અને હવા-ઉજાસ મળી રહે તેવી વ્યવસ્થા કરો. ૧૫ વર્ષ સુધીના બાળકોને રાત્રે અને સૂતી વખતે જંતુનાશક મચ્છરદાનીમાં જ સુવડાવો. જો બાળકને તાવ, ઉલ્ટી, ખેંચ જેવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના નજીકની મેડિકલ કોલેજ હોસ્પિટલ કે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવા. અસરગ્રસ્ત વિસ્તારોમાં જંતુનાશક પ્રક્રિયા હેઠળ ઘરોમાં ડસ્ટિંગ અને સ્પ્રેઇંગ કરવું. બાળકોને ખુલ્લા શરીરે ઘરની બહાર ધૂળ કે માટીમાં રમવા દેવા નહીં. ચેપ ફેલાવતી માખીઓ આ જગ્યાઓએ વધુ સક્રિય હોય છે. ઘરની આસપાસ કચરો કે ભેજ થવા દેવો નહીં. લક્ષણો જણાય ત્યારે ઘરગથ્થુ ઉપચારમાં સમય બિલકુલ બગાડવો નહીં અને તબીબી સહાય મેળવવી જોઈએ, તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવ્યું છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application