જામનગર : યાદવનગરમાં થયેલી ૮.૬૦ લાખની ચોરીમાં એક શખ્સની ધરપકડ
ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી: રૂપિયા ૭.૬પ લાખનો મુદ્દામાલ કબ્જે
જામનગર શહેરના યાદવનગર વિસ્તારમાં બનેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એલ.સી.બી.ની પોલીસ ટીમે એક આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ તથા જામનગર જિલ્લાના પોલીસ વડા ડો. રવિ મોહન સૈની ના સુચન મુજબ હાથ ધરવામાં આવી હતી.
એલ.સી.બી. પો.ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એમ.વી. ભાટીયા તથા ટીમ પેટ્રોલિંગ દરમિયાન અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવા સક્રિય હતા. દરમિયાન સ્ટાફના ભરતભાઈ ડાંગર, અરજણભાઈ કોડિયાતર, કિશોરભાઈ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મયુદિનભાઈ સૈયદ સહિતની ટીમોએ બનાવ સ્થળ નજીકના સીસીટીવી કેમેરાની તપાસ કરી અને આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
મળતી માહિતી મુજબ તા. ૦૨/૦૫/૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦થી સાંજે ૫:૦૦ વાગ્યા દરમિયાન યાદવનગર આહીર સમાજ નજીક આવેલ રહેણાક મકાનમાં અજાણ્યા ઇસમએ તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટ અને તિજોરી તોડી ચોરી કરી હતી. ફરીયાદી નારણભાઈ હમીરભાઈ કંડોરીયાના મકાનમાંથી રોકડા રૂ. ૮,૩૦,૦૦૦ તથા સોનાની વીંટી રૂ. ૩૦,૦૦૦ મળી કુલ રૂ. ૮,૬૦,૦૦૦ના મુદામાલની ચોરી થઈ હતી.
સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે શંકાસ્પદ શની ઉર્ફે જેસીંગભાઈ કોળી (ઉંમર ૧૯, રહે. બાવરીવાસ, દિગ્જામ સર્કલ પાસે, જામનગર)ને દિગ્જામ સર્કલ ઓવરબ્રિજ નીચે મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપી પાસેથી રોકડા રૂ. ૭,૩૫,૦૦૦ તથા એક સોનાની વીંટી રૂ. ૩૦,૦૦૦ મળી કુલ રૂ. ૭,૬૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ એ.એસ.આઇ. ઘનશ્યામભાઈ ડેરવાળીયાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ માટે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે. આરોપીનો અગાઉ પણ ગુન્હાહિત ઈતિહાસ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.