ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઇપણ રાજકીય પક્ષ/ઉમેદવારના પ્રચારકો/કાર્યકર્તાઓ કે જેઓ સબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેમણે તેવો વિસ્તાર છોડીને જતા રહેવા અંગેનું જાહેરનામું
જામનગર તા.૯ એપ્રિલ, જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા તથા જામનગર જિલ્લા પંચાયત તેમજ જામનગર જિલ્લાના કુલ ૬ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ ને રવિવારના રોજ યોજાનાર છે. આ ચૂંટણીનું મતદાન મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો રાજ્ય ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. આ ઉપરાંત આદર્શ આચારસંહિતાનું પાલન થાય અને ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઇ રહે તે જરૂરી છે. મતદાન પુરૂ થવાના સમય (તા.૨૬/૦૪/૨૦૨૬ ના સાંજના ૬.૦૦ કલાક)થી ૪૮.૦૦ કલાક અગાઉથી (તા.૨૪/૦૪/૨૦૨૬ ના સાંજના ૬.૦૦ કલાકથી) ચૂંટણી પ્રચાર કરવાનો અંત આવે છે. આ રીતે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઇપણ રાજકીય પક્ષ/ઉમેદવારના પ્રચારકો/કાર્યકર્તાઓ કે જેઓ સબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેમણે તેવો વિસ્તાર છોડીને જતા રહેવાનું થાય છે. જિલ્લાના સબંધિત મતવિસ્તારમાં જાહેર શાંતિ અને સલામતિ તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ.એમ.કાથડ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
જે મુજબ, જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તથા જામનગર, કાલાવડ, લાલપુર, જામજોધપુર, ધ્રોલ અને જોડિયા એમ કૂલ ૬ તાલુકા પંચાયતના વિસ્તારમાં મતદાન પુરૂ થવાના સમય (તા.૨૬/૦૪/૨૦૨૬ ના સાંજના ૬.૦૦ કલાક)થી ૪૮.૦૦ કલાક અગાઉ (તા.૨૪/૦૪/૨૦૨૬ ના સાંજના ૬.૦૦ કલાક)થી એટલે કે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઇપણ રાજકીય પક્ષ/ઉમેદવારના પ્રચારકો/કાર્યકર્તાઓ કે જેઓ સબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેમણે તેવો વિસ્તાર છોડીને જતા રહેવાનું રહેશે.
ઉમેદવારોના ચૂંટણી એજન્ટોજને આ હુકમ લાગુ પડશે નહી. (ચૂંટણી એજન્ટત હોવા અંગેનો આધાર સાથે રાખવાનો રહેશે) આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ જણાવવામાં આવ્યું છે.