જામનગરમાં ગુલાબ નગર નજીક નારાયણ નગર વિસ્તારમાં રહેતી તન્વીબેન જયેશભાઈ સાવલાણી સાંજે ૬ વાગ્યાના અરસામાં અંબર ચોકડી પાસે આવેલી બાવરીવાસમાં નાના ગરીબ બાળકોને પોતાના સ્કૂટરની ડેકીમાં બિસ્કીટ વગેરે નાસ્તો લઈને પહોંચી હતી. જ્યાં ગરીબ પરિવારના બાળકોને એકત્ર કરીને પોતાના સ્કૂટરની ડેકીમાંથી બિસ્કીટ ના પડીકા વગેરે કાઢીને તેનું વિતરણ કરી રહી હતી, જે દરમિયાન ડેકીમાં રાખેલો તન્વીબેન નો રૂપિયા ૧૮,૦૦૦ ની કિંમત નો મોબાઇલ ફોન કોઈએ સેરવી લીધો હતો, અને રફુ ચક્કર થઈ ગયો હતો.
તન્વીબેન ને પોતાનો મોબાઈલ ફોન ગુમ થયાની જાણકારી મળતાં તેમણે તુરત જ જામનગરના પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ની ટીમનો સંપર્ક સાધ્યો હતો. જ્યાં હાજર રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. બી. સિંગલ તેમજ સ્ટાફના એએસઆઈ પરેશભાઈ ખાણધર તથા અન્ય સ્ટાફના રીનાબા વાઘેલા, પારુલબા જાડેજા, વર્ષાબા જાડેજા, મિતલબેન સાવલિયા અને એન્જિનિયર પ્રીતેશ હરણ વગેરે ટીમે માત્ર અડધો કલાકની અંદર અંબર ચોકડી પાસે આવેલા સીસીટીવી કેમેરાની મદદથી પીળા શર્ટ વાળા એક ટાબરીયા ની ઓળખ કરી લીધી હતી, અને સીટી બી. ડિવિઝનના પોલીસ કાફલાને તુરત જ ઝુપડપટ્ટીમાં મોકલાવી દઇ બાળકને શોધી લીધો હતો.
બાળક અને તેની માતા મોબાઈલ ફોનને સ્વીચ ઓફ કરીને તેનું કવર બદલાવ્યું હતું અને હજુ આગળ કોઈ પ્રક્રિયા કરે, તે પહેલાં જ પોલીસ પહોંચી ગઈ હતી. અને મોબાઈલ ફોન કબજે કરી લીધો હતો. જે મોબાઈલ તેના મૂળ માલિક તન્વીબેનને પરત સોંપી દીધો હતો, જેથી તેમણે પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.