જામનગરમાં પત્નિ સાથેના ઝઘડાનું લાગી આવતાં પતિનો આપઘાત
ઝેરી દવા પી લેતા જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડયો
કાલાવડમાં યુવતીએ અગમ્ય કારણસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
જામનગરના રાજપાર્ક વિસ્તારમાં રહેતા એક યુવાને પત્ની સાથે થયેલી બોલાચાલીનું મનમાં લાગી આવતાં ઝેરી દવા પી લેતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. કાલાવડમાં યુવતીએ અગમ્ય કારણસર ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે.
પોલીસમાંથી મળતી વિગત અનુસાર શહેરના રાજપાર્ક આદિત્યપાર્ક શેરી નં-૧ ખાતે રહેતા મૂળ સુત્રાપાડા ના હરબાઝભાઈ જમુભાઈ પરમાર (ઉ.વ.૩૨) એ તા.૨૯ મેના રોજ વહેલી સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી.
બનાવ બાદ તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મરણજનાર અને તેમની પત્ની વચ્ચે અગાઉ બોલાચાલી તથા ઝઘડો થયો હતો, જે બાબતનું મનમાં લાગી આવતાં તેણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે જામનગર સીટી-બી ડિવિઝન પોલીસે બી.એન.એસ.એસ. કલમ-૧૯૪ મુજબ અકસ્માત મૃત્યુ અંગે નોંધ કરી છે, અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય બનાવમાં કાલાવડમાં શીતલા કોલોની, રેસ્ટ હાઉસ પાછળ વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય પૂજાબેન અનિલભાઈ ઠાકોર પોતાના ઘરે એકલી હતી ત્યારે બપોરના બે વાગ્યાથી સાંજના સાડા પાંચ વાગ્યા વચ્ચેના કોઈપણ સમયે અગમ્ય કારણોસર ઘરના છતના હૂક સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો ઘરે પહોંચતા પૂજાબેન લટકતી હાલતમાં જોવા મળતાં તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
બનાવ અંગે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની નોંધ કરવામાં આવી છે. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જોકે પરિણીતાએ કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણવા પોલીસ તેણીના પતિ અનિલ વશરામભાઈ ઠાકોર તેમજ પરિવારજનો અને નજીકના સગા સંબંધીઓના નિવેદનો લઈ તપાસ ચલાવી રહી છે.આ બનાવની વધુ તપાસ કાલાવડ ટાઉન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.