જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાલે માવઠાની આગાહી
હાલારમાં ગરમી વધી: તા.૮ બાદ ફરીથી મહતમ તાપમાન વધશે તેવી હવામાન ખાતાની આગાહી: ખેડુતોમાં ઉચ્ચાટ
હજુ તો માવઠાના મારથી ખેડુતો નીકળ્યા નથી ત્યાં આવતીકાલ તા.૭ના રોજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરીથી માવઠુ આવશે તેવી હવામાન ખાતાએ આગાહી કરતા ખેડુતોમાં ઉચ્ચાટની લાગણી જોવા મળી છે. તા.૮ બાદ ગરમીમાં ધીમેધીમે વધારો થશે.
વેસ્ટર્ન ડીસ્ટબન્સના કારણે કાલથી માવઠાનો નવો રાઉન્ડ શરૂ થશે, અગાઉ પણ માવઠાના કારણે ખેડુતોને ભારે નુકશાન થયુ હતું. સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ અને દમણમાં માવઠાની શકયતા હોવાનું જણાવાયું છે. ઉપરાંત એવી પણ આગાહી કરવામાં આવી છે કે તા.૧૫ બાદ મોટા ભાગના શહેરોમાં ગરમીમાં વધારો થશે અને તાપમાન ૪૨ ડીગ્રીને પાર કરી જશે.
માવઠાને આગાહીને ખેડુતોની ઉંઘ હરામ કરી દીધી છે. અત્યારે ખેતરોમાં રવિ પાક તૈયાર છે, કેટલાક ખેતરોમાં કાપણીની તૈયારી ચાલી રહી છે. વરીયાળી, ઘઉં, મરચાનો પાક તૈયાર છે ત્યારે જો વરસાદ આવે તો માલની ગુણવતામાં પણ ઘટાડો થશે આ ઉપરાંત આંબા પર પણ અસર થશે, ગયા વખતે કેટલાક આંબાઓમાંથી કેરી ખરી ગઇ હતી. અને નુકશાન થયુ હતું. જો કે ખેડુતોએ સરકાર પાસે વળતરની પણ માંગણી કરી છે.
સામાન્ય રીતે મેં મહિનામાં ગરમી થતી હોય છે ગરમીના કારણે લોકોમાં પણ મુશ્કેલી થશે અને તાપમાન વધુને વધુ ગરમ બનશે. આમ તો ૭ અને ૮ એપ્રિલ દરમ્યાન ઉતર ગુજરાત, મઘ્ય ગુજરાત, ઉપરાંત તા.૭ના રોજ દેવભૂમિ અને દ્વારકા જિલ્લાનાં ગામડાઓમાં વરસાદ પડશે તેવી આગાહીને કારણે ખેડુતો ફરીથી ચિંતામાં મુકાઇ ગયા છે.
આમ ફરીથી એક વખત માવઠાનો માર જગતના તાતને અકળાવી દેશે.