જામનગરમાં પ્રથમવાર નવા દ્રષ્ટિકોણ આધારિત વિશેષ શિબિર
તા. ૧૧ થી ૧૬મી એપ્રિલ સુધી ઓશવાળ સેન્ટર ખાતે કાર્યક્રમ યોજાશે
અમદાવાદ, રાજકોટ, સુરત અને ભાવનગર બાદ હવે જામનગર શહેરમાં પ્રથમવાર સન ટુ હ્યુમન સંસ્થા દ્વારા નવા દૃષ્ટિકોણ આધારિત વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર તા. ૧૧ એપ્રિલ, ૨૦૨૬થી તા. ૧૬ એપ્રિલ દરમિયાન ઓશવાળ સેન્ટર ખાતે દરરોજ સવારે ૬:૦૦થી ૮:૦૦ વાગ્યા સુધી યોજાશે.
શિબિર પૂર્વે તા. ૧૦ એપ્રિલના રોજ સવારે ૬:૦૦થી ૮:૦૦ દરમિયાન તૈયારી બેઠક યોજાશે, જેમાં શિબિર માટેની જરૂરી તૈયારી, યોગ્ય માનસિક્તા અને વધુમાં વધુ લાભ કેવી રીતે મેળવવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
આ શિબિર પ્રવચન નહીં, પ્રયોગનાં સૂત્ર સાથે પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનના સંયોજન પર આધારિત છે. પરમ આલયજીના દિવ્ય સાન્નિધ્યમાં યોજાનારી આ શિબિરમાં ભાગ લેનારાઓને સમ્યક આહાર, સમ્યક વ્યાયામ, સમ્યક ધ્યાન તથા સકારાત્મક ઊર્જા વિકાસ જેવા વિષયો પર પ્રયોગાત્મક માર્ગદર્શન આપવામાં આવશે. શિબિરમાં કુલ ૧૦ સત્રો યોજાશે, જેમાં પ્રથમ તબક્કામાં શરીરની શક્તિઓ વિક્સાવવા અને દ્વિતીય તબક્કામાં મનની શક્તિઓને જાગૃત કરવા વિશેષ સત્રો યોજાશે.
આ પ્રયોગોમાં ઓક્સિજન સ્તર વધારવા, મનને ઊંડાણપૂર્વક સમજવા, ડિપ્રેશન, તણાવ અને ચિંતા દૂર કરવી તેમજ યોગ્ય આહાર, વ્યાયામ અને ઊંઘ દ્વારા રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માર્ગદર્શન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સંસ્થાએ વિશ્વભરમાં ૧૦,૦૦૦થી વધુ નિ:શુલ્ક શિબિરો યોજી છે. જેમાં હજારો લોકોએ ડાયાબિટીસ, ઉચ્ચ રક્તચાપ, થાયરોઇડ, પી.સી.ઓ.ડી. અને સાંધાના દુખાવા સહિત અનેક રોગોમાંથી રાહત મેળવી સકારાત્મક પરિવર્તન અનુભવ્યું છે.