BREAKING NEWS

કેબિનેટમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં જામનગરના ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું

  • June 16, 2026 12:31 PM 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના


કેબિનેટમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં જામનગરના ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું


છેલ્લા ૧૨ વર્ષમાં થયેલી સિદ્ધિઓ માત્ર સરકારની સફળતા નથી, પરંતુ દેશના નાગરિકોના વિશ્વાસ અને સહભાગિતાનું પરિણામ છે: કેબિનેટમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા


ગુજરાતની વર્ષો પહેલાની પાણીની સમસ્યા હવે દંતકથા બની ગઈ છે: રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા


જામનગર તા.૧૬ જૂન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના સફળ અને ગૌરવશાળી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે તા. ૮ જૂનથી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન જામનગર જિલ્લામાં વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ અંતર્ગત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં જામનગરના ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ ભારતે છેલ્લા ૧૨ વર્ષમાં વિકાસ, સુશાસન, પારદર્શિતા અને જનકલ્યાણના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ હાંસલ કરી છે. દેશના છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવાનો જે સંકલ્પ લેવામાં આવ્યો તે સફળતાપૂર્વક સાકાર થઈ રહ્યો છે.


“સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ”ના મંત્ર સાથે કાર્ય કરતી કેન્દ્ર સરકારે ગરીબ, ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને વંચિત વર્ગના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવ્યું છે. પ્રધાનમંત્રી જનધન યોજના દ્વારા કરોડો લોકો બેંકિંગ વ્યવસ્થાથી જોડાયા છે, ઉજ્જ્વલા યોજનાથી માતા-બહેનોને ધુમાડામુક્ત રસોડાની સુવિધા મળી છે, જ્યારે આયુષ્માન ભારત યોજના દ્વારા ગરીબ પરિવારોને આરોગ્ય સુરક્ષાનું મજબૂત કવચ પ્રાપ્ત થયું છે. સ્વચ્છ ભારત મિશન દ્વારા સ્વચ્છતા અંગે જનજાગૃતિ સર્જાઈ છે અને દેશના લાખો ગામો તથા શહેરોમાં સ્વચ્છતાનું નવું વાતાવરણ ઊભું થયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ પરિવારોને પાકા મકાનો મળ્યા છે, જ્યારે જલ જીવન મિશન દ્વારા દરેક ઘરમાં શુદ્ધ પીવાના પાણીની સુવિધા પહોંચાડવા માટે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે.


છેલ્લા ૧૨ વર્ષમાં દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઐતિહાસિક વિકાસ નોંધાયો છે. આધુનિક હાઈવે, એક્સપ્રેસ-વે, રેલવે સ્ટેશન, એરપોર્ટ, મેટ્રો સેવા અને બંદરોના વિકાસથી ભારતની આર્થિક શક્તિ વધુ મજબૂત બની છે. આજે ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવી રહ્યું છે અને વિશ્વ મંચ પર પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી રહ્યું છે.


ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી શાસનમાં પારદર્શિતા અને જવાબદારી વધી છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા લાભાર્થીઓને સહાય સીધી તેમના ખાતામાં પહોંચાડવામાં આવી રહી છે, જેના કારણે મધ્યસ્થીઓની ભૂમિકા ઘટી છે અને પારદર્શિતા વધી છે.યુવાનો માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને મુદ્રા યોજના જેવી પહેલોએ રોજગાર અને સ્વરોજગારની નવી તકો ઊભી કરી છે. 


મહિલાઓના સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેના પરિણામે દેશની 3 લાખ બહેનો લખપતી દીદી બની છે. વર્ષ ૨૦૧૪માં દરરોજ ૧૧.૫ કિમી નેશનલ હાઇવે બનતા હતા અને હવે દરરોજ ૩૪ કિમીના નેશનલ હાઇવેનું નિર્માણ થઈ રહ્યું છે. અત્યારે ૯૯.૬% રેલવે ઇલેક્ટ્રિફાઇડ થઈ છે.


ગુજરાતે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ વિકાસનું જે મોડેલ દેશને આપ્યું છે, તે આજે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બન્યું છે. રાજ્યમાં માર્ગ, પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે થયેલી પ્રગતિએ ગુજરાતને દેશના વિકાસના એન્જિન તરીકે સ્થાપિત કર્યું છે.


જામનગર જિલ્લો આજે ઔદ્યોગિક, પર્યટન, બંદર વિકાસ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ જિલ્લામાં લાખો નાગરિકોને મળી રહ્યો છે. જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રતિબદ્ધ છે.આગામી વર્ષોમાં ભારત આત્મનિર્ભર, સમૃદ્ધ, સ્વચ્છ, સશક્ત અને વિશ્વમાં અગ્રણી સ્થાન ધરાવતું ભારત હશે. છેલ્લા ૧૨ વર્ષમાં થયેલી સિદ્ધિઓ માત્ર સરકારની સફળતા નથી, પરંતુ દેશના નાગરિકોના વિશ્વાસ અને સહભાગિતાનું પરિણામ છે. આવનારા સમયમાં પણ વિકાસની આ ગતિને વધુ વેગવાન બનાવીને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં આવશે.


કાર્યક્રમમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, કેન્દ્રના બજેટમાં માતૃશક્તિ, યુવા શક્તિ, ખેડૂતો અને ગરીબ, મજૂર અને કારીગર વર્ગ આ ચાર આયામોને કેન્દ્રસ્થાનમાં રાખી અને દેશનું બજેટ નિર્ધારિત કરવામાં આવે છે. ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા દંતકથા સમાન બની ગઈ છે. પીવાના પાણી, સિંચાઈ અને વીજ ઉત્પાદનની સુવિધાઓ ઉપલબ્ધ બની છે, જેના કારણે લાખો ખેડૂતો અને નાગરિકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. નર્મદાનું પાણી રાજ્યના સુકા અને પાણીની અછત ધરાવતા વિસ્તારો સુધી પહોંચતાં વિકાસને નવી ગતિ મળી છે.


છેલ્લા ૧૨ વર્ષોમાં ભારતે સાબિત કર્યું કે આધુનિકતા અને સાંસ્કૃતિક ચેતનાની સાથે સાથે વિકાસ પણ થઈ રહ્યો છે. રામ મંદિરનું નિર્માણ, ચારધામ યાત્રા, મહાકાલેશ્વર મંદિરના જીર્ણોદ્ધારની વાત હોય કે સોમનાથ સ્વાભિમાન પર્વ થકી આપણી સંસ્કૃતિ જીવંત રહી છે. કન્યા કેળવણી દ્વારા બાળકીઓના શિક્ષણને પ્રોત્સાહન મળી રહ્યું છે, જ્યારે સ્વચ્છતા અભિયાન અને શૌચાલય સુવિધાઓના વિસ્તરણથી સ્વચ્છ અને સ્વસ્થ સમાજના નિર્માણને વેગ મળ્યો છે. સાથે જ વૃક્ષારોપણ, જળ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ જેવા કાર્યક્રમો દ્વારા પ્રકૃતિના જતન અને હરિત વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે દેશના ઇતિહાસ સાથે ભાવિ પેઢી કેવી રીતે મજબૂતીથી જોડાઈ શકે એ માટેનો સંકલ્પ કર્યો છે. ઓપરેશન સિંદુર અને સર્જીકલ સ્ટ્રાઈકથી વિશ્વમાં ભારતે પોતાનું કદ અંકિત કર્યું છે. 


જામનગર જિલ્લાના વિકાસકાર્યો જેમાં જિલ્લાનું ગૌરવ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર, સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર, ૬૦૦ કરોડના ખર્ચે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ, ૬૦ કરોડના ખર્ચે ૨ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ૪૫૧ કરોડના ખર્ચે ૭૦૦ બેડની અત્યાધુનિક જી.જી.હોસ્પિટલનું નવું બિલ્ડીંગ, એસ.ટી.બસ સ્ટેન્ડ, જીએસટી સેન્ટરને મંજૂરી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૮ નવી માધ્યમીક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે.


કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિશેષ સિદ્ધી મેળવેલ નાગરિકો અને સંસ્થાઓને સન્માનપત્ર આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વિકસિત ભારત અંગે શપથ ગ્રહણ કર્યા હતા.


આ કાર્યક્રમમાં મેયર મોનિકાબેન વ્યાસ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રંજનબેન જીવાણી, ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણીકભાઈ અકબરી, જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા, અગ્રણીઓ બીનાબેન કોઠારી અને ડો.વિનોદભાઈ ભંડેરી, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, સાશક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવિણાબેન વ્યાસ, જામનગર ડીસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંકના ચેરમેન જીતેન્દ્ર લાલ, ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો, આગેવાનો, અધિકારીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application