ખંભાળિયા: આરોપીના વકીલ ન હોવા છતાં કોર્ટમાં ખોટી રજૂઆત કરતા દ્વારકાના યુવાન સામે ફરિયાદ
ખુન જેવા ગંભીર કેસમાં કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ : ભારે ચકચાર
ખુન જેવા ગંભીર કેસમાં આરોપીના વકીલ ન હોવા છતા દ્વારકાના એક યુવકે વકીલ છે એવી ખોટી જાહેરાત કરતા આખરે મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો અને કોર્ટને ગેરમાર્ગે દોરવા સબબ તેની સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
દ્વારકામાં આવેલી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હિરેનભાઈ હિતેશભાઈ પીંડારિયા (ઉ.વ. ૩૮) એ દ્વારકાના રહીશ એમ.બી. જાદવ નામના શખ્સ સામે સ્થાનિક પોલીસ મથકમાં કોર્ટને ગેરમાર્ગે દોરવા સબબની ફરિયાદ નોંધાવી છે.
આ પોલીસ ફરિયાદમાં ઇન્ચાર્જ રજીસ્ટ્રાર હિરેનભાઈ પિંડારિયાએ જણાવ્યા મુજબ આરોપી એમ.બી. જાદવએ ખૂન જેવા ગંભીર ગુનાના કેસમાં આરોપીઓના વકીલ ન હોવા છતાં આરોપીના વકીલ છે તેવી ખોટી જાહેરાત કરી, આ કેસનું ન્યાયિક કાર્યવાહીમાં હાજર રહી, ભાગ લીધો હતો. આ રીતે કોર્ટમાં ખોટું બોલીને કોર્ટને ગેરમાર્ગે દોરી, ખોટી રજૂઆત કરવામાં આવી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ પ્રકરણ સંદર્ભે પોલીસે બીએનએસની કલમ ૨૪૨ અને ૩૧૯ તથા એડવોકેટ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.એલ. ચોપડા દ્વારા હાથ ધરવામાં આવી છે.