ગુજરાતમાં તા.૧ જૂનથી ૧૫ ઓગસ્ટ સુધી જળચર સંપત્તિના સંવર્ધન માટે યાંત્રિક બોટો દ્વારા થતી માછીમારી પર પ્રતિબંધ
ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના આદેશ અનુસાર ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં ચોમાસા દરમિયાન જળચર સંપત્તિના સંવર્ધન તેમજ માછલીઓના પ્રજનનને પ્રોત્સાહન આપવા હેતુસર તા. ૦૧ જૂન, ૨૦૨૬ થી તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી માછીમારી ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.
આ સમયગાળા દરમિયાન રાજ્યના આંતરદેશીય તેમજ દરિયાકાંઠાના પ્રાદેશિક જળક્ષેત્રોમાં તમામ પ્રકારની યાંત્રિક બોટો દ્વારા થતી માછીમારી સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.
આ પ્રતિબંધમાંથી નોન-મોટરાઇઝ્ડ ક્રાફ્ટ (લાકડાની બિન-યાંત્રિક હોડીઓ, શઢવાળી હોડીઓ) તથા પગડિયા માછીમારોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
રાજ્યના તમામ માછીમાર બોટ માલિકો, મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ/એસોસિએશનોના હોદેદારો તેમજ માછીમારોને સરકારના આ હુકમનું ચુસ્તપણે પાલન કરવા તથા દરિયાઈ જૈવિક સંપત્તિના સંરક્ષણ અને સંવર્ધન માટે સહકાર આપવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.