BREAKING NEWS

જામનગરની જી.જી.હોસ્પિટલમાં એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી થશે

  • June 24, 2026 01:19 PM 


જામનગરની જી.જી.હોસ્પિટલમાં એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી થશે


સુવિધા: રાજયના આરોગ્ય મંત્રીએ કેથલેબની ભેટ આપી, સંભવત: આગામી ૬ મહીનામાં કાર્યરત થશે, દર્દીઓને અન્ય શહેરોના ધકકામાંથી મુકિત મળશે


એમ.પી.શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી આજના યુવા તબીબોએ ક‚ણા અને સેવાભાવ જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો


જામનગર આવેલા રાજયના આરોગ્ય મંત્રી પ્રફ્રુલ પાનસેરિયાએ જી.જી.હોસ્પિટલને કેથલેબની સુવિધાની ભેંટ આપી છે. આથી હવે જી.જી.હોસ્પિટલમાં આગામી દિવસોમાં એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી થશે. આ સુવિધા સંભવત: ૬ મહીનામાં કાર્યરત થશે. આરોગ્ય મંત્રીએ એમ.પી.શાહ મેડીકલ કોલેજના વિધાર્થીઓ સાથે સંવાદ કરી આજના યુવા તબીબોએ કરૂણા અને સેવાભાવ જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો.


રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા ગઇકાલે જામનગર આવ્યા હતાં. તેઓને જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે નમો મૈત્રી ગોષ્ઠી અંતર્ગત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે ઉષ્માભર્યો અને પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને માત્ર સારા ડોક્ટર જ નહીં પરંતુ ઉત્તમ માનવી બનવા માટે પણ પ્રેરિત કર્યા હતા. તબીબી વ્યવસાય માત્ર એક વ્યવસાય નથી, પરંતુ માનવસેવાનું સર્વોત્તમ સાધન છે. ડોક્ટર તરીકે દર્દીઓને સારવાર આપવાની સાથે સમાજ પ્રત્યેની સંવેદના, કરૂણા અને માનવીય મૂલ્યોનું જતન કરવું એટલું જ જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં નૈતિકતા, શિસ્ત અને સેવા ભાવનાને કેન્દ્રસ્થાને રાખીને કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.


જામનગરમાં નિર્માણ પામી રહેલા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીન  ભારતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી રહ્યું છે. આ કેન્દ્ર સંશોધન, નવીનતા અને જ્ઞાનના આદાન-પ્રદાન દ્વારા પરંપરાગત ચિકિત્સાને આધુનિક વિજ્ઞાન સાથે જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે, જેના કારણે જામનગર વિશ્વના આરોગ્ય ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. આ માત્ર એક સંસ્થા નથી, પરંતુ ભારતની પ્રાચીન જ્ઞાનપરંપરા, આયુર્વેદ અને માનવકલ્યાણના વિચારોને વિશ્વ સુધી પહોંચાડવાનું એક વૈશ્વિક મંચ છે. જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે આગામી સમયમાં કાર્ડિયાક કેથેટરાઈઝેશન લેબોરેટરી (કેથ લેબ) વિકસાવવામાં આવશે. જે વિદ્યાર્થીઓ માટે પણ મદદરૂ​​​​​​​પ બનશે તેમ તેઓએ જણાવ્યું હતું. આથી આગામી દીવસોમાં જી.જી.હોસ્પિટલમાં એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી સર્જરી થઇ શકશે. 


કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાના સમાચાર સાંભળવા મળે છે, જે ખૂબ જ દુ:ખદ અને ચિંતાજનક છે. તેથી વિદ્યાર્થીઓ, ખાસ કરીને મેડિકલ વિદ્યાર્થીઓએ, તણાવ અને નિરાશાથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સકારાત્મક માનસિકતા, સારો વ્યવહાર અને જીવન પ્રત્યેનો આશાવાદી અભિગમ વ્યક્તિને મહાનતા તરફ લઈ જાય છે. જીવનમાં પડકારો અને અવરોધો આવવા સ્વાભાવિક છે, પરંતુ દરેક પરિસ્થિતિમાં સકારાત્મક વિચારસરણી જ વ્યક્તિને નવી દિશા અને શક્તિ આપે છે. પોઝિટિવ અભિગમથી કાર્ય કરવાથી વ્યક્તિ પોતાના લક્ષ્યોને સરળતાથી હાંસલ કરી શકે છે તેમજ સમાજમાં પણ સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.


તેમણે જણાવ્યું કે ડોક્ટર માટે માત્ર જ્ઞાન પૂરતું નથી, પરંતુ દર્દી પ્રત્યેનો સારો વ્યવહાર, સંવેદના અને મીઠી વાણી પણ એટલી જ મહત્વની છે. પોતાની વાણી પર નિયંત્રણ રાખી સૌજન્યપૂર્ણ વર્તન કરનાર વ્યક્તિ જીવનમાં વિશેષ સફળતા પ્રાપ્ત કરે છે. જામનગરની ધરતી માનવતા અને કરુણાની અનોખી પરંપરાની સાક્ષી છે. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે પોલેન્ડના બાળકો યુદ્ધની ભયાનક પરિસ્થિતિઓમાં નિરાધાર બન્યા હતા, ત્યારે જામનગરના રાજવી જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ બાલાચડી ખાતે તેમને આશ્રય, શિક્ષણ અને માતા-પિતાના સ્નેહ સમાન સુરક્ષા પૂરી પાડી હતી. એ જ કરૂણા અને સેવાભાવ આજના ડોક્ટરોએ પોતાના જીવનમાં ઉતારવો જોઈએ. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ આરોગ્ય ક્ષેત્ર, મેડિકલ શિક્ષણ, કારકિર્દી નિર્માણ, જીવન મૂલ્યો અને વ્યક્તિત્વ વિકાસ સંબંધિત વિવિધ પ્રશ્ર્નો રજૂ કર્યા હતા. આરોગ્ય મંત્રીએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના સરળ, માર્ગદર્શક જવાબો આપ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને મંત્રી સાથે ખુલ્લા મનથી ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સારી સુવિધાઓ, રહેવા અને અભ્યાસની ઉચ્ચ ગુણવત્તાયુક્ત સુવિધાઓ મળવા બદલ કોલેજના વિદ્યાર્થીઓએ મંત્રીને આભાર પત્ર એનાયત કર્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્યો  રાઘવજીભાઈ પટેલ, દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક વિજય પોપટ, એમપી શાહ મેડિકલ કોલેજના ડીન ડો.નંદિની દેસાઈ, ડોક્ટરો, અધિકારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application