BREAKING NEWS

જામનગર: સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ

  • June 02, 2026 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ

સ્પેશિયલ પોક્સો કોર્ટનો મહત્વનો ચુકાદો: ભોગ બનનારને રૂ. ૪ લાખ વળતર ચૂકવવાનો હુકમ

જામનગરમાં સગીર વયની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

કેસની હકીકત મુજબ, ભોગ બનનાર સગીરા જ્યારે શાળાએ જતી હતી ત્યારે આરોપી સુરેશ ઉર્ફે સરીયો મગનભાઈ વાઘેલા, રહે. શંકરટેકરી, વલ્લભનગર, જામનગર તેની પાછળ-પાછળ આવતો અને મિત્રતા કરવા માટે દબાણ કરતો હતો. બાદમાં સગીરા કારખાનામાં મજૂરી કામે જવા લાગતા આરોપી સતત તેનો પીછો કરતો રહ્યો હતો. આરોપીએ માતાજી પ્રત્યેની શ્રદ્ધાની વાતો કરી તથા લગ્ન કરવાની ખાતરી આપી સગીરાનો વિશ્વાસ સંપાદન કર્યો હતો.

આરોપીએ સગીરાને પોતાના ઘરે લઈ જઈ તેની સાથે લગ્ન કરી સારી રીતે રાખવાની વાતો કરી હતી. ત્યારબાદ ફોન પર સતત સંપર્કમાં રહી લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી અને વિવિધ સ્થળોએ ફરવા લઈ જતો હતો.

તા. ૦૬-૦૬-૨૦૨૪ના રોજ આરોપી સગીરાને વિશ્વાસમાં લઈ ખંભાળિયા ખાતે લઈ ગયો હતો, જ્યાં ત્રણ દિવસ સુધી તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ લાલપુર ખાતે પોતાના ભાઈના ઘરે લઈ ગયો હતો. ત્યાં આરોપીના પરિવારજનો દ્વારા અગાઉ પણ અનેક યુવતીઓને ફસાવ્યાની વાત જાણવા મળી હતી. દરમિયાન પોતાની સામે પોલીસ ફરિયાદ નોંધાયાની જાણ થતાં આરોપી સગીરાને દિગ્જામ સર્કલ નજીક મૂકી ફરાર થઈ ગયો હતો, આ અંગે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન, જામનગર ખાતે  ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(એન) તથા પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ મુજબ ગુનો નોંધાયો હતો.

આ કેસ પોક્સો કેસ તરીકે સ્પેશિયલ કોર્ટમાં ચાલી ગયો હતો. કેસ દરમિયાન સરકાર પક્ષે ૧૩ જેટલા સાક્ષીઓની જુબાની અને દસ્તાવેજી પુરાવાઓ અને સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય રાખીને આરોપીને તક્સીરવાન ઠરાવી પોકસોની કલમ -૪ મુજબ દસ વર્ષની સખત કેદ ની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ, અને દંડ ન ભરે તો વધુ છ માસની સખત કેસની સજા ફરમાવી છે.

આ ઉપરાંત પોકશો કલમ ૬ મુજબ ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા ૧૦,૦૦૦ નો દંડ, અને તે દંડ ન ભરે તો વધુ એક વર્ષની સખત કેદ ની સજા ભોગવવા હુકમ કર્યો છે. સાથે સાથે ભોગ બનનારને રૂપિયા ચાર લાખનું વળતર ચુકવવાનું પણ સ્પેશિયલ અદાલત ના જજ આર. પી.મૂંઘેરા દ્વારા આદેશ કરાયો છે.   આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયા હતા.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application