બેટ દ્વારકામાં દર્શન કરવા જતાં યાત્રાળુઓની રીક્ષા અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત
અકસ્માત બાદ રીક્ષા પલટી ખાઇ જતાં મુસાફરો ઇજાગ્રસ્ત
અકસ્માત સર્જી બાઇક ચાલક નાસી છૂટયો: પોલીસની તપાસ
બેટ દ્વારકામાં દર્શન કરવા જતાં યાત્રાળુઓની રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો.અકસ્માત બાદ રીક્ષા પલટી ખાઇ જતાં મુસાફરોને ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જી બાઇક ચાલક નાસી છૂટયો હતો.
ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલા હનુમાનદાંડી રોડ પર જી.જે. ૩૨ જી.યુ. ૦૫૧૫ નંબરની એક રીક્ષા ભાડે રાખીને હનુમાન દાંડી મંદિરે દર્શન કરીને પરત આવી રહેલા તુષારભાઈ અનિલભાઈ પ્રભુણે (ઉ.વ. ૪૯, રહે. સેટેલાઈટ રોડ, અમદાવાદ) તથા તેમના પરિવારજનોની આ રીક્ષા સાથે પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. ૩૭ ક્યુ ૯૫૧૪ નંબરના એક મોટરસાયકલના ચાલકે સામેથી ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે રીક્ષા પલટી ખાઈ જવા પામી હતી.
આ અકસ્માતમાં તુષારભાઈ, તેમની દીકરી અંતરા અને સ્વરા વિગેરેને નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અકસ્માત સર્જીને મોટરસાયકલ ચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ અંગે બેટ દ્વારકા પોલીસે મોટરસાયકલ ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.