ખોખડદડ પુલ પાસે બાઈક અકસ્માતમાં ઘવાયેલા યુવકનું મોત
ખોખડદડ પુલ પાસે બાઈક અકસ્માતમાં ઘવાયેલા યુવકનું મોત
January 16, 2026 03:46 PM
ખોખડદડ પુલ પાસે બાઈક સ્લીપ થતા રૈયાધારના યુવકનું ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. યુવક મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા જતો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ રૈયાધારના મચ્છાનગરમાં રહેતો વિજય ધનજીભાઈ કુંવારીયા (ઉં.વ. 28)નો ગત તા. 11ના રાત્રીના આઠેક વાગ્યે મોટરસાઇકલ લઈને જતો હતો ત્યારે ખોખડદળ નદીના પુલ અને હુડકો ચોકડી વચ્ચે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા કોઈએ 108ને જાણ કરતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવક છ ભાઈ ત્રણ બહેનમાં વચેટ હતો અને મજૂરી કામ કરતો હતો. પરિવારજનોના કહેવા મુજબ યુવક ઘરેથી મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા જતો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો. યુવકનું બાઈક સ્લીપ થવાથી કે અન્ય વાહનની ઠોકરે બનાવ બન્યો કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. યુવકના મોતથી પરિવારમા કલ્પાંત સર્જાયો છે.