કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાસે રહેતા મહિલા રાજકોટ મધ્યસ્થ જેલમાં બંદીવાન પુત્રને મળવા ગયા હતા. દરમિયાન ત્રણ નામચીન શખસો હોય તેમને ડિસમિસના ઘા મારી પતાવી દેવાની ધમકી આપી હતી. જે અંગે મહિલાએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર આદિત્ય હાઉસિંગ સોસાયટી બ્લોક નંબર એચ- 108 માં રહેતા અફરોઝાબેન ઇલિયાસભાઈ આરબિયાણી (ઉ.વ 37) દ્વારા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે બાબરીયા કોલોની આવાસ ક્વાર્ટરમાં રહેતા દિનેશે બચુ અરવિંદભાઈ ગોહિલ અને શરદ દિલીપભાઈના નામ આપ્યા છે.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા. 29/9/2025 ના રોજ તેઓ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પુત્ર શેફ જે મધ્યસ્થ જેલમાં બંદીવાન હોય તેને મળવા ગયા હતા. પુત્રને જેલમાં મળી બહાર નીકળતા હતા ત્યારે દિનેશ ઉર્ફે બચુએ કહ્યું હતું કે, આને બહાર નીકળવા દે પછી જોઈ લેશું. બાદમાં મહિલા બહાર નીકળતા ચિરાગ ઉર્ફે બકાલી, રાજેશ મકવાણા તથા શરદ દિલીપભાઈએ તેને ગાળો આપી કહ્યું હતું કે, તને ડિસમિસના ઘા મારી પતાવી દેવી છે. દરમિયાન અહીં લોકો ભેગા થતા આ ત્રણેય અહીંથી નાશી ગયા હતા.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું છે, કે દિનેશ ઉફે બચ્ચુ અરવિંદભાઈ ગોહિલ તથા ચિરાગ ઉર્ફે બકાલી રાજેશભાઈ મકવાણા તથા શરદે કોઈ કારણ વગર તેમને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ અંગે તેમણે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.