જામજોધપુરના માર્કેટીંગ યાર્ડ, મજુર વસાહતમાં ગૃહકંકાશ અને ચારિત્રની શંકા સેવી પતિએ પથ્થર અને લાકડા વડે પત્ની પર જીવલેણ હુમલો કરીને નાશી ગયો હતો, દરમ્યાન લોહી લુહાણ હાલતમાં પરપ્રાંતીય મહિલાને વધુ સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવતા ત્યાં તેણીનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો, પોલીસે તપાસના ચક્રો ગતીમાન કર્યા છે, પતિ સામે હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે, આ બનાવે પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચાવી છે.
જામજોધપુર યાર્ડ વિસ્તારમાં પત્ની પર જીવલેણ હુમલો કરી પતિ નાશી ગયો હતો, લોહીલુહાણ હાલતમાં પરપ્રાંતીય શ્રમીક મહિલાને જામનગર રીફર કરવામાં આવી હતી, જયાં સારવારમાં લાવ્યા બાદ મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો, આ અંગેની જાણ થતા જામજોધપુર પોલીસ ટુકડી ઘટના સ્થળ અને હોસ્પીટલ ખાતે દોડી આવી હતી.
આ અંગે મુળ એમપીના જાંબવા જીલ્લાના અને હાલ જુના યાર્ડ ખાતે ઝુપડામાં રહેતા ખીમસિંહ મિશરુભાઇ ભુરીયા (ઉ.વ. ૨૨)એ ગઇકાલે જામજોધપુ પોલીસ સ્ટેશનમાં મુળ જાંબવાના વડલીયા ગામના તળવી ફળીયુના વતની અને હાલ માર્કેટીંગ યાર્ડ જામજોધપુર ખાતે રહેતા નરીયા સમરીયાભાઇ બામણીયાની વિરુઘ્ધ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૧૦૩(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યુ હતું કે, ફરીયાદીના બહેન ગુલીબેન પર તેના પતિ નરીયા બામણીયાએ ચારિત્રની શંકા સેવી હેરાન, પરેશાન કરી ઝઘડા કરતો હોય અને મારી નાખવાની વાતો કરતો હતો, દરમ્યાન ગઇકાલે યાર્ડ ખાતેના ઝુપડામાં આરોપી નરીયાએ પથ્થર અને લાકડાના ધોકાથી ક્રુરતાપુર્વક તેણી પર માથાના ભાગે આડેધડ ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોચાડી હતી, દરમ્યાન તેણીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ હતી.
જયાં ગુલીબેનનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો, આરોપી સામે ફરીયાદ દાખલ થતા જામજોધપુર પીઆઇ રબારીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ઓડેદરા અને સ્ટાફ દ્વારા તપાસ આદરવામાં આવી છે, પતિએ ગૃહકંકાશમાં ખુની ખેલ ખેલતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે, આ બનાવના કારણે ત્રણ સંતાનોએ માતાની છત્રછાયાં ગુમાવી છે.A