રાજયભરમાં હાલમાં વ્યાજખોરીના દુષણને ડામવા માટે લોકદરબાર યોજાઇ રહ્યા છે. રાજકોટ શહેરમાં તાજેતરમાં લોકદરબાર યોજાયા બાદ ગઇકાલે રાજકોટ રેન્જનો વ્યાજખોરી વિરૂધ્ધ લોકદબારા યોજાયો હતો. જેમાં ખુદ ડીઆઇજી નિર્લિપ્ત રાયે અરજદારોને રૂબરૂ સાંભળ્યા હતાં. બે દિવસ યોજાનાર આ લોકદબારમાં પ્રથમ દિવસે જ ૩૫ જેટલી અરજી મળી હતી. જેમાં પોલીસ ખરાઇ કરી ગુના નોંધવાની કાર્યવાહી કરશે. બે દિવસ યોજનાર આ લોકદરબારમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાંથી મોટી સખ્યામાં લોકો આવ્યા હતા.તેમની સીધી ફરીયાદો સાંભળી હતી. જેમા વ્યાજખોરો દ્રારા કરવામાં આવતા દબાણ અને ધમકીઓ બિન કાયદેસર વસૂલાત અને માનસિક ત્રાસ અંગે ખૂલાસા કર્યા હતા. જેમાં વ્યાજખોરો સામે પોલીસના દ્રારે આવેલા રાજકોટના અમરનગરમાં રહેતા પ્રમોદભાઈ ખાખરીયાએ ત્રણ વર્ષ પુર્વે કાલાવડના ખરેડી ગામના અજયસિંહ જાડેજા, ખીજડીયાગામના અમરદીપસિંહ જાડેજા અને ખરેડી ગામના હંસરાજભાઈ માવજીભાઈ કોઠીયા પાસેથી કટકે કટકે રૂ.૯.૪૦ લાખ ૧૦ ટકા વ્યાજ લેખે લીધા હતા જેના ડબલ નાણા ચુકવી દિધા હોવા છતા વધુ પૈસાની માંગ કરી અપહરણ કરવાની અને પોલીસ તો અમારા ખિસ્સામાં છે કહી ધમકી આપતા હોય અને અગાઉ જામનગર એસપી સમક્ષ લેખીતમાં ફરીયાદ કરી હતી છતા આરોપીઓ સામે કોઈ કડક કાર્યવાહી થઈ ન હોવાનો આક્ષેપ કર્યા હતા. જ્યારે મોરબીના ચિરાગભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, તેમણે રૂ.૮ લાખ વ્યાજે લઈને સિક્યુરિટી રૂપે પ્લોટનો દસ્તાવેજ આપ્યો હતો. ૮ મહિના સુધી દર મહિને રૂ.૨૪ હજાર વ્યાજ ચૂકવી બાદમાં મૂળ રકમ પરત કરી દીધી છતાં રૂ.૪૦ લાખના પ્લોટનો દસ્તાવેજ પરત આપવામાં આવ્યો નથી. અગાઉ મોરબી A ડિવિઝન અને ગાંધીનગરમાં અરજીઓ કરવા છતાં ન્યાય ન મળ્યાનો આક્ષેપ કર્યો હતો. જેમાં રેન્જ ડીઆઈજીએ પિડીતોને વિશ્વાસ આપ્યો હતો કે પોલીસ તેમના સાથે છે. કોઈ પણ વ્યાજખોરને છોડવામાં આવશે નહી અને દરેકની ફરીયાદ ગંભીરતાથી તપાસ થશે અને ગૂનેગારીને સામે કડક કાર્યવાહી થશે.