જામનગર મહાનગરપાલીકાના વર્ગ-૨ અને ૩ સંવર્ગના ૧૬ કર્મચારીને હંગામી અને કામચલાઉ ધોરણે બઢતી આપવામાં આવી છે. પરંતુ આ બઢતી ઉચ્ચ અધિકારીઓને ઉપરછેલ્લી જાણ કરી આપવામાં આવી હોવાની ચર્ચા ખુદ મહાપાલીકાના કર્મચારીઓમાં જોરશોરથી થઇ રહી છે. આટલું જ નહીં હંગામી બઢતીમાં પણ અમુક લાયકાત અને સીનયોરીટી ધરાવતા બઢતી પાત્ર કર્મચારીઓની અવગણના કરી ભેદભાવ રાખવામાં આવ્યાનો ચણભણાટ પણ મનપાના વર્તુળોમાં શરૂ થયો છે.
જામનગર મહાનગરપાલીકાના સામાન્ય વહીવટી વિભાગ દ્રારા ડીપીસી કમીટીની નોંધ, સ્ટાફ સીલેકશન કમીટી અને જનરલ બોર્ડના ઠરાવને અનુલક્ષીને તા.૨૩ જાન્યુઆરીના વર્ગ ૨ અને ૩ સંવર્ગના મળીને કુલ ૧૬ કર્મચારીને હંગામી અને કામચલાઉ ધોરણે બઢતી આપવામાં આવી છે. જેમાં આસોડીયા દશરથભાઇ ભગાભાઇને સીનીયર ફુડ સેફટી ઓફીસર(વર્ગ-૨)ની જગ્યા પર અને નિર્મળાબેન આર.પરમારને ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ વર્ગ-૨ની જગ્યા પર હંગામી અને કામચલાઉ ધોરણે બઢતીનો સમાવેશ થાય છે.
જયારે નિનામા રાજેન્દ્રકુમાર ભુરજીભાઇને ઓફીસ સુપ્રીટેન્ડન્ટ(વર્ગ-૩), પટેલ હર્ષદ મોહનભાઇને એકાઉન્ટન્ટ(વર્ગ-૩), છગન નાથાભાઇ શીંગાળાને ઓફીસ સુપ્રીટેન્ડન્ટ(વર્ગ-૩), ખીમસૂર્યા કીશોર વી.ને ઓફીસ સુપ્રીટેન્ડન્ટ ટેકસ(વહીવટ)(વર્ગ-૩), ઓઝાત વીજયસિંહ માનસિંહને ઓફીસ સુપ્રીટેન્ડન્ટ(વર્ગ-૩), ધર્મેશ એમ.જેઠવાને ઓફીસ સુપ્રીટેન્ડન્ટ(વર્ગ-૩), ડામોર અંબાલાલ કલાભાઇને ટ્રેઝરર(વર્ગ-૩), બુંબડીયા નારણભાઇ ભેરાભાઇને સ્ટેટેસ્ટીકલ આસીસ્ટન્ટ(એકાઉન્ટ)(વર્ગ-૩), દવે વિશાલ યોગેશકુમારને આસીસ્ટન્ટ ટેકસ ઓફીસર(વર્ગ-૩), ચાવડા નજીરહુશેન મહમદહુશેન, કેર દીપસંગ માનસંગ, ચૌહાણ ભાગવતસિંહ પરષોતમ, ઓઝા સુરેશચંદ્ર અરજણભાઇ અને હરસોડા ભરત હંસરાજભાઇને વોટર વર્કસ સબ ઇન્સ્પેકટર(વર્ગ-૩)ની જગ્યા પર હંગામી અને કામચલાઉ બઢતી આપવામાં આવી છે.
બઢતી પામેલા તમામ કર્મચારીઓએ હાલ જે શાખામાં ફરજ બજાવતા હોય તે શાખામાં બઢતીવાળી જગ્યા પર હાજર થઇ રીપોર્ટ આપવાનો રહેશે. આટલું જ નહીં હાલમાં તેમની વર્તમાન ફરજ મુજબની કામગીરી ચાલુ રાખવાની રહેેશે. તદઉપરાંત રાજય સરકારના ધારા ધોરણ મુજબ કોમ્પ્યુટર કૌશલ્યની નિયત કરેલ લાયકાત સીસીસીની પરીક્ષા પાસ કર્યા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેેશે. પરંતુ જો સીસીસીની પરીક્ષા પાસ કરી ન હોય તો ૬ મહીનામાં પરીક્ષા પાસ કરી પ્રમાણપત્ર રજૂ કરવા બઢતીના આદેશમાં જણાવાયું છે.
જામ્યુકોના વર્ગ ૨ અને ૩ સંવર્ગના કુલ ૧૬ કર્મચારીની હંગામી બઢતી કરવામાં આવ્યાનો મુદો ખુદ મનપાના અધિકારીઓ અને કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે, મહાનગરપાલીકામાં ફરજ બજાવતા અમુક કર્મચારીઓ સરખી લાયકાત અને સીનીયોરીટી ધરાવતા હોવા છતાં તેઓને કયાં કારણોસર બઢતીમાંથી સાઇડલાઇન કુરવામાં આવ્યા તે અણીયારો સવાલ અને અસંતોષનો સૂર આ કર્મીઓમાં ઉઠ્યો છે. આટલું જ નહીં બઢતી અંગે ઉચ્ચ અધિકારીઓને ઉપર છેલ્લી જાણ કરવામાં આવી હોવાનો અને ભેદભાવ રાખી અમુક કર્મચારીઓની ઇરાદાપૂર્વક અવગણના કરવામાં આવી હોવાનો ચણભણાટ પણ મહાનગરપાલીકાના કર્મચારીઓમાં જોરશોરથી શ થયો છે.