રાજકોટ શહેરમાં ભોમેશ્વરમાં ૭૦ વર્ષથી ભાડે રહેતા શિક્ષીકાના ભાડાના મકાનના તાળા તોડી મકાનમાંથી સામાન બહાર ફેકી જેસીબી વડે તોડફોડ કરી આ મકાન હવે અમારૂ છે. તારે જયા જવુ હોય ત્યા જાજે કહી ધમકી આપી અને તેમજ અગાઉ પણ મકાન ખાલી કરાવવા ધમકીઓ આપી હોવાની પિતા પુત્રો સહિતની ત્રિપુટી સામે ફરીયાદ કરતા ગાંધીગ્રામ પોલીસે ત્રણ શખસો સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા કાર્યવાહી કરી છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં છેલ્લા 70 વર્ષથી નંદુબેન રામજીભાઈ વેકરીયાના ભાડાના મકાનમાં રહેતા અને પ્રાઈવેટ સ્કુલમાં શિક્ષીકા તરીકે નોકરી કરતા કેરોલ ઈગ્નેશભાઈ ડીસોઝા, રહે હાલ ગ્રીનલેન્ડ ચોકડી વાળાને ફોન આવ્યો હતો જેમાં પિતા ઈગ્નેશભાઈએ ફોન કરી વાત કરી જાણ કરી હતી જેમાં તમારા ભોમેશ્વરમાં આવેલ ભાડાનું મકાન તોડવા માટે વિજયભાઈ અગ્રાવત, તેનો ભાઈ ગોપાલભાઈ અને પુત્ર કરણ અગ્રાવત, જેસીબી મશીન લઈને આવ્યા છે.
તેમજ તમારું ભાડાના માનનું તાળુ તોડી રહ્યા છે. જેથી તાબડતોબ દોડી જતા મકાનના તાળા તોડી વિજય સહીતના ત્રિપુટીએ સામાન બહાર ફેકી દિધો હતો અને ભાડાના મકાનની છત અને દિવાલ તોડી નાખી હતી. જેથી તેને અટકાવી સમજાવતા કરણએ કહ્યુ કે આ મકાન હવે મારૂ છે. અને મે તોડી નાખ્યુ છે.
મારા ઘરની દિવાલો કેમ તોડવી તે મને આવડે છે. તારે જયા જવુ હોય ત્યા જા કહી ત્રણેય મકાન માંથી સામાન બહાર ફેકી દિવાલ તોડી નુકશાન પહોંચાડી જતા રહ્યા હતા, અત્રે ઉલ્લેખનીય છેકે આ મકાનનું ભાડું મકાન માલિક નંદુબેન વેકરિયાને પોસ્ટ મારફત મોકલતા હોવાનું તેમજ બનાવ અંગે કેરોલબેન ડિસોઝાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ કરી હતી.
આ અંગે પીએસઆઈ ચાવડા સહીતે પ્રાથમિક તપાસ કરતા કેરોલબેનએ જણાવ્યુ હતુ કે અગાઉ ત્રણ માસ પુર્વે પણ વિજયભાઈ સહીતનાઓએ મકાન ખાલી કરવા માટે ધમકી આપી હતી. પરંતુ ખાલી નહી કરતા તોડી નાખ્યાનુ જણાવતા પોલીસે વિજય ધીરૂભાઈ અગ્રાવત, તેનો પુત્ર કરણ અને તેનો ભાઈ ગોપાલ ધીરૂભાઈ સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.