આઠ દી" પહેલા મૃત્યુ પામેલા જનેતાના વિયોગમાં પુત્રએ ફાંસો ખાઈ જીવ દીધો
આઠ દી" પહેલા મૃત્યુ પામેલા જનેતાના વિયોગમાં પુત્રએ ફાંસો ખાઈ જીવ દીધો
January 07, 2026 03:40 PM
શહેરના પુનિતનગર પાણીના ટાકા પાસે રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે, યુવકના માતાનું આઠ દિવસ પહેલા અવસાન થતા તેના વિયોગમાં પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ પુનિતનગર પાણીના ટાકા પાસે ઝૂંપડું બાંધીને રહેતા કિરીટસિંહ ભૂપતસિંહ સીસોદીયા (ઉ.વ.38)એ ગઈકાલે ઝૂંપડામાં ગળેફાંસો ખાઈ લીધો હતો. પત્ની બહારથી આવતા પતિને લટકતી હાલતમાં જોઈ દેકારો કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કોઈએ 108ને જાણ કરતા 108ની ટીમે મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. આપઘાત કરનાર કિરીટસિંહ રીક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ચાર ભાઈ બે બહેનમાં વચેટ હતા અને સંતાનમાં એક દીકરો બે દીકરી છે. 31મીએ રૂખડિયાપરામાં રહેતા તેમના માતા રામબાનું બીમારી સબબ અવસાન થતા તેના આઘાતમાં પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.