લાંબા સમયથી વિવાદોમાં રહેલી અને રાજકોટના મોરબી રોડ વિસ્તારને સ્પર્શતી ૨૫ વર્ષ જૂની ટી.પી. સ્કીમ નં. ૧૪ ને આખરે રાજ્ય સરકાર દ્વારા મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ, ૧૯૭૬ હેઠળ આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેનાથી આ વિસ્તારના અનેક રહીશોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
આ ટી.પી. સ્કીમ વર્ષ ૨૦૦૪ થી વિવિધ કારણોસર વિવાદમાં રહી હતી. સ્થાનિક રહીશો દ્વારા અગાઉ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, જે પ્લોટ નકશામાં ખાલી દર્શાવવામાં આવ્યા હતા, તેના બદલે અન્ય પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સુચિત રસ્તાઓ પર મકાનો વેચી દેવાયા હોવાનો ગંભીર વિવાદ પણ ઉઠ્યો હતો. ખાસ કરીને લાલપરી નાળાથી લઈને બેડી ચોકડી સુધીનો વિશાળ વિસ્તાર આ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવ્યો છે, જે વર્ષોથી ડેવલપમેન્ટની રાહ જોઈ રહ્યો હતો.
રાજ્ય સરકારના નવા જાહેરનામા મુજબ, આ ટી.પી. સ્કીમ ૧૪ નો અમલ આગામી ૧૭ જૂન, ૨૦૨૬ થી અસરકારક રીતે લાગુ કરવામાં આવશે. આ નિર્ણય સાથે ઘંટેશ્વર-પરાપીપળીયાની પ્રાથમિક ટી.પી. સ્કીમ નં. ૩૧/૨ ને પણ કલમ ૪૮ હેઠળ મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરવા માટે ટાઉન પ્લાનિંગ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેઓ સંબંધિત કચેરીઓમાં જરૂરી દસ્તાવેજોની ચકાસણી અને કામગીરી પૂર્ણ કરશે.
સરકારના આ પગલાથી વર્ષોથી અટવાયેલા બાંધકામ અને પ્લોટના પ્રશ્નોનો ઉકેલ આવશે તેવી અપેક્ષા છે. અગાઉ, ટી.પી. સ્કીમના અમલીકરણમાં અવરોધ આવતા મકાન માલિકો મૂંઝવણમાં હતા, પરંતુ હવે ફાઈનલ પ્લોટ અને વિસ્તારની સ્પષ્ટતા થતા વિકાસના કાર્યો વેગવંતા બનશે. આ યોજનાના અમલીકરણ સાથે પ્લોટના ક્ષેત્રફળમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે, જેની માહિતી સંબંધિત વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. લાંબા સમયની માગણી સંતોષાતા મોરબી રોડ વિસ્તારના રહીશોમાં હવે વિકાસના નવા આશાસ્પદ કિરણો જોવા મળી રહ્યા છે.