રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આજ સુધીમાં કુલ રૂ.૩૮૯.૨૯ કરોડની વસુલાત કરવામાં આવી છે, જેમાં સરકારી કચેરીઓ જ મિલકત વેરાની સૌથી મોટી બાકીદાર હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે. તાજેતરમાં વિવિધ સરકારી કચેરીઓ પાસેથી સવા કરોડની વેરા વસૂલાત કરાઇ
રાજકોટ મહાનગરપાલિકાની વેરા-વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે વેરાની વસુલાત કરવા માટેની ઝુંબેશ હાલ કાર્યરત છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નોન રેસિડન્સ, રેસિડન્સ, કોમર્શીયલ, સરકારી મિલકત જેવી મિલકતોનો વેરો બાકી હોય તો તેમને વેરા-બિલથી મિલકતવેરો ભરપાઈ કરવાની જાણ કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં વ્યાજ માફીની સ્કીમ લાવામાં આવી છે. જેમાં જો બાકી મિલકતવેરાની સંપૂર્ણ ભરપાઈ કરવામાં આવે તો મિલકત વેરાના વ્યાજ પર રૂ.૫૦૦૦ તથા પાણીના વેરાના વ્યાજ પર રૂ.૫૦૦૦ એમ કુલ રૂ.૧૦,૦૦૦ નું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર થાય છે. આ યોજનાનો લાભ નાગરિકો તા.૩૧.૩.૨૦૨૬ સુધી લઈ શકે છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન તા.૧.૪.૨૦૨૫ થી તા.૭.૩.૨૦૨૬ સુધી કુલ રૂ. ૩૮૯.૨૯ કરોડની વસુલાત થઈ છે. આ વસુલાતમાં સરકારી વિભાગો દ્વારા તેમના હસ્તકની મિલકતોના મિલકત વેરા અને પાણી ચાર્જીસ ચુકવવામાં આવેલ છે.
સરકારી એકમો પાસેથી થયેલી વસૂલાત
(૧) ગર્વનમેન્ટ ઓફ એન્જીનીયરીંગ કોલેજ પાસેથી રૂ.૫૮.૬૧ લાખ (૨) પી.જી.વી.સી.એલ દ્વારા રૂ.૪૫.૩૭ લાખ (૩) સ્પોર્ટ્સ ડીપાર્ટમેન્ટ દ્વારા રૂ.૩૦.૯૫ લાખ (૪) જૂની કોર્ટ દ્વારા રૂ.૧૭.૩૬ લાખ (૫) યાંત્રિક ભવન દ્વારા રૂ.૧૧.૦૦ લાખ (૬) નાયબ નિયામક કચેરી દ્વારા રૂ.૧૪.૧૮ લાખ (૭) મામલતદાર કચેરી દક્ષિણ દ્વારા રૂ.૬.૪૩ લાખ (૮) પી.ડબલ્યુ.ડી દ્વારા રૂ.૬૫.૪૭ લાખ (૯) ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા રૂ.૫ હજાર, આમ કુલ રૂ.૨.૪૯ કરોડ જેટલી રકમની વસૂલાત થાય છે. ચાલુ માસમાં (૧) સિવિલ હોસ્પિટલ દ્વારા રૂ.૭૪.૬૫ લાખ (૨) જી.એમ.એસ.સી.એલ દ્વારા રૂ.૪.૮૫ લાખ (૩) પોસ્ટલ ડેપો દ્વારા રૂ.૧૭.૨૨ લાખ (૪) સેન્ટ્રલ જી.એસ.ટી કચેરી દ્વારા રૂ.૧૭.૬૫ લાખ આમ કુલ રૂ.૧.૧૪ કરોડ જેટલી રકમ વસુલ થયેલ છે.