રાજકોટ આજના ડિજિટલ યુગમાં જ્યારે નવી પેઢી મોબાઈલ અને સોશિયલ મીડિયામાં વ્યસ્ત છે, ત્યારે બાળકોને પુસ્તકો તરફ વાળવા માટે રાજકોટમાં એક પ્રશંસનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. વિધાર્થીઓ ફેસબુક કરતા બુકને ફેસ કરે તેવા શુભ આશય સાથે સાંઇરામ દવેની સ્કૂલ નચિકેતા દ્વારા ૩ થી ૧૫ વર્ષની વયના વિધાર્થીઓ માટે એક લીટરચેર ફેસ્ટિવલ સાથે લાઇફ સ્કીલ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ અને સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા આગામી ૧૧ અને ૧૨ એપ્રિલના રોજ ગુજરાતનો સૌથી મોટો બાળ સાહિત્યમેળો કિડ્સ ફિએસ્ટા’ યોજાશે. સાહિત્યમેળાની સાથે નચિકેતાના વિધાર્થીઓ દ્વારા ખાસ બુક ટોકનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાર્થીઓ પોતે વાંચેલા પુસ્તકોનો બુક ટોક રજૂ કરશે સાથે મેથ્સ અને સાયન્સ ફેર, ફ્રી આઉટડોર રાઇડસ, પપેટ શો, કરા ઓકે, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, સાઇબર ક્રાઇમ અવેરનેસ, સનાતન વિથ સાયન્સ, ગુડ ટચ બેડ ટચ નોલેજ, ફૂડ સ્ટોલ્સ, જેવી અનેક વિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા માટે સાંઈરામ દવે દ્વારા અનુરોધ કરાયો છે. કિડ્સ ફિએસ્ટાનું આ ત્રીજુ વર્ષ છે જેમાં અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધુ લોકો આ સાહિત્ય મેળાની મુલાકાત લઇ ચુક્યા છે.
આ લિટરેચર ફેસ્ટિવલમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના ઉત્તમ પુસ્તકો ઉપલબ્ધ હશે. બાળકોમાં વાંચન પ્રત્યે રુચિ જાગે તે માટે આર.આર. પ્રકાશન દ્વારા પુસ્તકો પર ખાસ ૨૦ ટકા સુધીની છૂટ રાખવામાં આવી છે.
આ સમગ્ર આયોજન વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે તદ્દન નિ:શુલ્ક છે. તા.૧૧ અને ૧૨ એપ્રિલ દરમિયાન બપોરે ૪થી રાત્રે ૧૦ વાગ્યા સુધી નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ, અંબિકા ટાઉનશિપ, જીવરાજ પાર્ક પાસે, રાજકોટ ખાતે લોકો લાભ લઈ શકશે. પુસ્તકો એ બાળકના સૌથી સારા મિત્રો છે. રજાના દિવસોમાં ગેજેટ્સ છોડીને આવા સાહિત્ય મેળાની મુલાકાત લેવી એ વાલીઓ માટે પોતાના બાળકને ઉત્તમ સંસ્કાર આપવાની શ્રેષ્ઠ તક છે.