રાજકોટ-ગોંડલ હાઇવે પર શ્રીનાથગઢ અને માંડલકુંડલા વચ્ચે ટ્રેકટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક આધેડનું ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એમપીન શ્રમિક શિવરાજગઢ હટાણું કરવા જતા હતા ત્યારે બનાવ બન્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ મૂળ એમપીના અને ગોંડલના શ્રીનાથગઢ રોડ પર આવેલી જેન્તીભાઇની વાડીએ ખેતમજૂરી કામ કરતા સગાભાઈ ગોખરીયાભાઈ બારેસા (ઉ.વ.55)ના ગત તા.5ના મોટરસાઇકલ લઈને વાડીએથી શિવરાજગઢ હટાણું કરવા માટે ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે માંડલ કુંડલા નજીક પુરપાટ ઝડપે આવતા ટ્રેકટરે બાઈકને ઉલાળતા બાઈક સમેત આધેડ ફંગોળાતા ગંભીર ઈજાઓ થઇ હતી. અકસ્માતના પગલે લોકો એકઠા થઇ જતા કોઈએ 108ને જાણ કરતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા દરમિયાન રાત્રીના તેનું ચાલુ સારવારે મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને એક સંતાનમાં એક દીકરા ત્રણ દીકરી છે. અકસ્માતના પગલે પોલીસે ટ્રેકટર ચાલકની શોધખોળ હાથ ધરી હતી.