રાજકોટ શહેરના સોનીબજાર વિસ્તારમાં વેપાર કરતા એક સોની વેપારી સાથે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના વેપારીએ પાંચ વર્ષ સુધી વેપાર કર્યા બાદ વિશ્વાસમાં આપેલા અંદાજે ૩૧ કિલોથી વધુના ચાંદીના દાગીના કિમત ૧૩.૪૯ લાખ ઓળવી જતાં આ મામલો પોલીસ મથકે પહોંચ્યા બાદ એ ડિવિઝન પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, રાજકોટના અમીન માર્ગ પર આવેલ તપોવન સોસાયટીમાં રહેતા અને સોનીબજારના માંડવી ચોક પાસે 'આર.કે. સિલ્વર' નામે ભાગીદારીમાં પેઢી ચલાવતા રણજીતભાઈ ખેંગારભાઈ વાઢેર ઉ.વ. ૫૮ એ મહારાષ્ટ્રના દેવીલાલ વાઘારામ માલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી દેવીલાલ માલી મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના આષ્ટાગામ ખાતે 'અર્બુદા સિલ્વર જવેલર્સ' નામે પોતાની દુકાન ધરાર્વે છે. છેલ્લા પાંચેક વર્ષથી બંને વચ્ચે વેપારી સંબંધો હતા અને દેવીલાલ સમયસર પેમેન્ટ કરી દેતો હતો. જોકે, ગત મે ૨૦૨૪માં આ સંબંધોમાં ખટાશ આવી હતી.દેવીલાલે ૧૮ કિલો ૧૦૪ ગ્રામ ચાંદીના દાગીનાનો ઓર્ડર આપ્યો હતો,જેની કિંમત ૮,૦૬,૧૮૯ થતી હતી. જેની સામે તેણે ૪,૨૨,૪૦૦ જમા કરાવ્યા હતા.ત્યારબાદ ફરી ૧૭ કિલો ૮૪૭ ગ્રામ દાગીના કિંમત ૯,૬૫,૯૦૮ કુરિયર મારફતે મંગાવ્યા હતા.
આમ આરોપી વેપારીઓએ કુલ ૩૧ કિલો ૭૨૭ગ્રામ ચાંદીના દાગીના મેળવી લીધા બાદ બાકી નીકળતા ૧૩,૪૯,૬૯૭ ચુકવવામાં દેવીલાલે ગલ્લાતલ્લા શરૂ કર્યા હતા.વેપારી રણજીતભાઈએ જ્યારે મહારાષ્ટ્ર જઈને રૂબરૂ ઉઘરાણી કરી ત્યારે પણ આરોપીએ માત્ર વાયદાઓ જ આપ્યા હતા. લાંબો સમય વીતી જવા છતાં અને ચાંદીના ભાવ વધવા છતાં નાણાં પરત ન મળતા અંતે રાજકોટ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.