ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે ગઈકાલે રવિવારે એક મંદિર નજીક જુદા જુદા મહિલાઓના રૂ. ૪.૬૫ લાખ જેટલી કિંમતના આશરે ૮ તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાથી આશરે ૧૫ કિલોમીટર દૂર મોવાણ ગામના પાટીયા પાસે આવેલા વિઠ્ઠલેશ્વર મહાદેવના મંદિર ખાતે ગઈકાલે રવિવારે સવારના સમયે કેટલાક મહિલાઓએ પહેરેલા તેમના જુદા જુદા સોનાના દાગીના કોઈ ગઠિયો સેરવીને લઈ ગયો હોવાનું ખુલવા પામ્યું છે.
જેમાં હિમીબેન નાથાભાઈ દેથરીયાએ પહેરેલી રૂપિયા ૧.૮૦ લાખની કિંમતની સોનાની કંઠી અન્ય એક મહિલા ભાવનાબેનનો રૂપિયા ૧.૦૫ લાખની કિંમતનો પોણા બે તોલાનો સોનાનો ચેન, રાધાબેનની રૂ. ૭૫ હજારની કિંમતની ૧.૨૫ તોલાની સોનાની માળા, પુરીબેને પહેરેલી રૂપિયા ૭૫ હજારની કિંમતની સોનાની માળા તેમજ પાર્વતીબેનનો આશરે રૂ. ૩૦ હજારની કિંમતનો સોનાનો ચેન કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઈ ગયો હોવાનું જાહેર થયું છે.
આ પ્રકરણ અંગે કુલ ૪,૬૫,૦૦૦ ની કિંમતના આશરે પોણા આઠ તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી થવા થવા સબબ હંસ્થળ ગામના પાલાભાઈ નાથાભાઈ દેથરીયા (ઉ.વ. ૪૮) દ્વારા અજાણ્યા શખ્સો સામે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંગે અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તથા તેમની ટીમ દ્વારા તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.