BREAKING NEWS

જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠકકરે SIR અંતર્ગત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી

  • December 11, 2025 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના ચૂંટણી આયોગ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા-૨૦૨૬નો સુધારેલ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં હાલ SIR અંતર્ગત ચાલી રહેલ કામગીરીને લઇને જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગણતરી ફોર્મની કામગીરી ૧૦૦% તેમજ આયોજનબદ્ધ પૂર્ણ કરવા બદલ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા વહીવટીતંત્રની કામગીરી બિરદાવી હતી.


એસ.આઈ.આર.ની કામગીરીમાં જિલ્લા વહીવટી તંત્રને તથા લોકોને સહયોગ આપવામાં મદદરૂપ થવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ જરૂર જણાયે ચૂંટણીશાખાનો સંપર્ક કરવા જણાવ્યું હતું.


જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, મતદારયાદી ખાસ સઘન સુધારણા-૨૦૨૬ના સુધારેલ કાર્યક્રમ મુજબ તા.૧૧ ડીસેમ્બર સુધી ગણતરીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં ગણતરી ફોર્મની કામગીરી ૧૦૦% પૂર્ણ થઇ છે.તા.૧૬ ડીસેમ્બરના રોજ પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

જામનગર જિલ્લામાં હાલ મતદારયાદીના કુલ ૧૨૪૨ ભાગ છે. જે મતદાન મથક પુનર્ગઠન થવાથી ૧૩૮૮ થશે. એટલે કે ૧૪૬ ભાગનો વધારો થશે. જે મુજબ મતદારયાદીનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ થશે. તા.૨૭-૧૦-૨૦૨૫ની સ્થિતિએ જિલ્લાના કુલ મતદારો ૧૨,૪૧,૦૯૭ છે. જેમના એન્યુમરેશન ફોર્મનું બી.એલ.ઓ. મારફતે ડીસ્ટ્રીબ્યુશન કરી તે પૈકીના ૧૦,૬૦,૧૬૨ ફોર્મ ડીજીટાઈઝ્ડ પણ થઇ ચુક્યા છે. 


૧,૮૦,૯૩૪ ફોર્મ કલેક્ટ થઇ શક્યા નથી તે પૈકી ૪૨,૯૪૦ લોકોનું અવસાન થઇ ચુક્યું છે. ૩૭,૯૧૮ મતદારો ગેરહાજર કે મળી શક્યા નથી. ૯૦,૦૫૭ લોકો કાયમી સ્થળાંતર કરી ચુક્યા છે. ૬૨૬૦ની પહેલાથી નોંધણી થઇ ચુકી છે અને ૩૭૫૯ લોકોના અન્ય કારણોનો સમાવેશ થાય છે. ગણતરી ફોર્મ કલેક્ટ થઇ ન શક્ય હોય તેવા મતદારોના નામ મતદારયાદીમાં પ્રસિદ્ધ થશે નહી. નામ કમી થયેલ હોય તેવા મતદારોએ જો પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવવું હોય તો નવેસરથી ફોર્મ ભરવાનું રહેશે. 

જામનગર જિલ્લામાં તા.૧૦-૧૨-૨૦૨૫ની સ્થિતિએ વર્ષ૨૦૦૨ની યાદીમાં નામ ન હોય તેવા ૧,૮૮,૨૩૫ લોકોનું મેપિંગ કરવાનું બાકી છે. જે મતદારોનું વર્ષ-૨૦૦૨ની મતદારયાદી સાથે મેપિંગ નહી થયેલ હોય તેવા મતદારોને નોટીસ આપવામાં આવશે. મતદારે ભારતના ચૂંટણી આયોગ દ્વારા માન્ય કરવામાં આવેલ પુરાવા પૈકીના જરૂરી પુરાવાઓ રજુ કરવાના રહેશે.

​​​​​​​

આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આદર્શ બસેર, મતદાર નોંધણી અધિકારીઓ, અગ્રણી બીનાબેન કોઠારી, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ વગેરે હાજર રહ્યા હતા...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application