આમ આદમી પાર્ટીની પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા શનિવારે જામનગર પહોંચી હતી. આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ ભાજપ પર આકારા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપની સરકારમાં લોકો મોંઘવારી અને ભ્રષ્ટાચારથી ત્રાહીમામ છે ત્યારે ગુજરાતની તાનાશાહી સરકાર સામે આમ આદમી પાર્ટીએ બાથ ભીડી છે. આટલું જ નહીં અમારા પર લાઠીચાર્જ, ખોટા કેસ થઇ રહ્યા છે આમ છતાં લોક પ્રશ્ર્નો માટે અમારી લડત સતત ચાલુ રહેશે. મહાનગરપાલીકાની ચૂંટણીમાં જો તમે ભાજપને મત આપશો અને વિજય થશે તો બીજા દીવસે પોલીસને સાથે રાખી ઘેર-ઘેર સ્માર્ટ મીટર લગાડશે તેવો ચોંકાવનારો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
આમ આદમી પાર્ટી દ્રારા ગુજરાતમાં પરિવર્તન લાવો કીસાન બચાવો યાત્રા શરૂ કરવામાં આવી છે. સોમનાથથી ગાંધીનગર સુધીની આ યાત્રા શનિવારે જામનગર પહોંચી હતી. આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવી સહીતના આગેવાનો અને કાર્યકરોએ સરકીટ હાઉસથી બાલા હનુમાન સુધી યાત્રા કરી હતી. ત્યારબાદ બાલાહનુમાન મંદીરે રામધૂન બોલાવી હતી. રામધૂન બોલાવ્યા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા જામનગર પહોંચી છે ત્યારે બાલાહનુમાન મંદીરના દર્શન કરી ભારે ધન્યતા અનુભવી છે. તેમણે જણાવ્યું હતું કે, અમે ગુજરાતની તાનાશાહી સરકાર સામે બાથ ભીડી છે. અમારા પર લાઠીચાર્જ થાય છે, ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે આમ છતાં અમારૂ મનોબળ મજબૂત છે અને લોક પ્રશ્ર્નો માટે અમારી લડત સતત ચાલુ રહેશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી મહાનગરપાલીકાની ચૂંટણી સ્માર્ટ મીટર પર લડાશે. જો તમે ચૂંટણીમાં ભાજપને મત આપશો અને તે વિજય થશે તો બીજા દીવસે ભાજપના સતાધીશો પોલીસને સાથે રાખી લોકોના ઘેર સ્માર્ટ મીટર ફરજીયાત લગાડશે તેવો ચોંકાવનારો આક્ષેપ પણ કર્યો હતો.
ભાજપની સરકારમાં લોકો મોંઘવારી અને ભ્રષ્ટાચારથી ત્રાહીમામ છે અને ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા નથી. આટલું જ નહીં આગામી મહાનગરપાલીકાની ચૂંટણીને લઇને શહેરના દરેક વોર્ડમાં મીટીંગ અને લોક પ્રશ્ર્નો શું છે તેની માહીતી મેળવી વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે. પાર્ટીના વડા અરવીંદ કેજરીવાલને અદાલતે નિર્દોષ જાહેર કરતા ગુજરાતમાં પાર્ટીની સ્થિતિ વધુ મજબૂત બની છે. જેના પડઘા આગામી ચૂંટણીમાં પણ જોવા મળશે. આમ આદમી પાર્ટીની પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રામાં જામજોધપુરના ધારાસભ્ય હેમત ખવા, જિલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડ, શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા, આગેવાન જૈનબબેન ખફી સહીતના નેતા અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતાં.