લેબનોન અને ઈઝરાયેલ સરહદ પર વણસી રહેલી પરિસ્થિતિ વચ્ચે લેબનોન આરોગ્ય મંત્રાલય દ્વારા હૃદયદ્રાવક આંકડા જાહેર કરવામાં આવ્યા છે. મંત્રાલયના તાજા અહેવાલ મુજબ ગત ૨ માર્ચથી શરૂ થયેલા ઈઝરાયેલી સૈન્ય હુમલાઓમાં અત્યાર સુધીમાં કુલ ૬૮૭ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ આંકડાએ વિશ્વભરમાં ચિંતા જગાડી છે અને યુદ્ધવિરામની માંગ તેજ બની છે.
બાળકો અને નિર્દોષ નાગરિકો પર સંકટ
આરોગ્ય મંત્રાલયના અહેવાલમાં સૌથી ચોંકાવનારી બાબત બાળકોના મૃત્યુની છે. હુમલામાં જીવ ગુમાવનારાઓમાં ૯૮ માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. હુમલામાં હજારો લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેના કારણે લેબનોનની આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે અને હોસ્પિટલોમાં લોહી તથા જીવનરક્ષક દવાઓની ભારે અછત સર્જાઈ છે.
ઈઝરાયેલનું કહેવું છે કે તે લેબનોનમાં સક્રિય સશસ્ત્ર જૂથોના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે, પરંતુ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં મિસાઈલ પડવાથી સામાન્ય નાગરિકો ભારે મોટી કિંમત ચૂકવી રહ્યા છે. ૨ માર્ચ બાદ હુમલાની તીવ્રતામાં અચાનક વધારો થયો છે, જેના કારણે દક્ષિણ લેબનોનમાંથી હજારો પરિવારો પલાયન કરી રહ્યા છે.