રાજકોટને અન્યાયઃ ભાવનગરને હરિદ્વારની ૨૦-૨૦ કોચની ત્રણ સાપ્તાહિક ટ્રેનો મળી
રાજકોટને અન્યાયઃ ભાવનગરને હરિદ્વારની ૨૦-૨૦ કોચની ત્રણ સાપ્તાહિક ટ્રેનો મળી
April 17, 2026 10:46 PM
પોરબંદરને રાજકોટ વચ્ચે એક સાથે બે પેસેન્જર ટ્રેનની ભેટ ધરનારા સાંસદ ડૉ. મનસુખ માંડવિયાએ વતન ભાવનગરમાં પણ હરિદ્વારની એક નહીં પણ ત્રણ ત્રણ સાપ્તાહિક ટ્રેનો શરુ કરાવવામાં સફળતા મેળવી છે. બીજી તરફ રાજકોટ સહિતના જિલ્લાઓની પ્રજા માટે હરિદ્વારની વધુ એક સાપ્તાહિક ટ્રેન શરૂ કરવામાં સાંસદો વામણા પુરવાર થતા હોવા જેવી સ્થિતિ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે ૩/૭/ ૨૦૦૦થી શરૂ થયેલી નં. ૧૯૫૬૫ ઓખા- દહેરાદુન ઉતરાંચલ એક્સપ્રેસ ટ્રેન માત્ર ૧૫ કોચ સાથે દોડી રહી છે. તેથી હાલની ૬૦ દિવસની રિઝર્વેશન વ્યવસ્થા મુજબ, પ્રથમ દિવસે સવારે રિઝર્વેશન ખુલવા સાથે સ્લીપર ક્લાસ અને થ્રી ટાયર એસી પાંચથી દસ મિનિટમાં જ હાઉસ ફૂલ થઈ જાય છે. આથી હરિદ્વાર માટે વધુ એક ટ્રેન શરૂ કરવાની વર્ષોથી ચેમ્બર સહિતની સંસ્થાઓ દ્વારા માગણી કરવામાં આવે છે. પણ રેલ તંત્ર દ્વારા હજુ સુધી ધ્યાન આપવામાં આવ્યું નથી. અને સાંસદો પણ લોકોના પ્રશ્નો સમજવામાં વામણા સાબિત થયા હોય અથવા સરકારમાં તેમનું કંઈ ઉપજતું ન હોવાની લાગણી પ્રવર્તી રહી છે. બીજી તરફ પોરબંદરના સાંસદ ડો. મનસુખભાઇ માંડવીયાએ પોરબંદર-રાજકોટ વચ્ચે તા. ૧૪/ ૧૧/૨૦૨૫થી એક જ ધડાકે વધુ બે ટ્રેનો ચાલુ કરાવી દીધી છે. તેમજ તેમના વતન ભાવનગર જિલ્લામાં તા. ૪/ ૧૧/૨૦૨૩થી શરૂ કરાવેલી નં. ૧૯૨૭૧ ભાવનગર- હરિદ્વાર (હરિદ્વાર એકસપ્રેસ) હવે ૨૦-૨૦ કોચની ટ્રેન સપ્તાહમાં બે દિવસ સોમવારે અને ગુરુવારે દોડવા લાગી છે. અધુરામાં પૂરું તાજેતરમાં રેલવે તંત્ર દ્વારા શરૂ કરાયેલી ટ્રેન ઓન ડિમાન્ડ નં. ૦૯૨૭૧ ભાવનગર- હરિદ્વાર સમર સ્પેશિયલ ટ્રેન ગઈ તારીખ ૧૨ એપ્રિલથી ચાલુ કરાવી દીધી છે. જે સામે ૨૬ વર્ષ પહેલા શરૂ થયેલી નું ૧૯૫૬૫ ઓખા- હરિદ્વાર ઉતરાંચલ એકસપ્રેસને સપ્તાહમાં બે કે ત્રણ વખત દોડાવવા કે આ ટ્રેનમાં વધુ કોચ જોડવા માટે રાજકોટ સહિતના સાંસદો પ્રજાની લાગણી સમજે છે કે કેમ ? પ્રજાને સુવિધા માટે કોઈ પ્રયાસ કરે છે કે કેમ ? તેમનું સરકારમાં કંઈ ઉપજે છે કે કેમ ? વગેરે વગેરે પ્રશ્નો ઉઠી રહ્યા છે.