આજના સમયમાં મોટાભાગના નોકરિયાત લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. નાણાંની જરૂરિયાત ઊભી થતાં તે ખૂબ ઉપયોગી સાબિત થાય છે, પરંતુ ક્યારેક બેદરકારીને કારણે લોકો ફ્રોડનો શિકાર બને છે અને મોટી રકમ ગુમાવે છે. અહીં તમને ક્રેડિટ કાર્ડ ફ્રોડથી બચવા માટેના ૫ મુખ્ય ઉપાયો જણાવવામાં આવ્યા છે, જે તમને છેતરપિંડીથી દૂર રાખવામાં મદદ કરશે.
ફ્રોડથી બચવા માટે આ 5 બાબતોનું ધ્યાન રાખો:
1. OTP ક્યારેય કોઈને ન આપો
ભારતીય રિઝર્વ બેંક (RBI) વારંવાર સ્પષ્ટતા કરી ચૂકી છે કે કોઈપણ બેંક કે અધિકારી ક્યારેય ફોન કોલ પર તમારી પાસે OTP (વન ટાઇમ પાસવર્ડ) માંગશે નહીં. તેમ છતાં, ઘણા લોકો ફોન કોલ પર છેતરાઈને OTP આપી દે છે અને પૈસા ગુમાવે છે. યાદ રાખો કે બેંકનો કર્મચારી પણ OTP પૂછતો નથી.
2. CVV અને કાર્ડની વિગતો ગુપ્ત રાખો
તમારા ક્રેડિટ કાર્ડનો નંબર, એક્સપાયરી ડેટ અને CVV (કાર્ડ વેરિફિકેશન વેલ્યૂ) ક્યારેય કોઈને ન જણાવો. ભલે તે કોઈ મિત્ર હોય કે પછી પોતાને બેંક કર્મચારી તરીકે ઓળખાવનાર અજાણી વ્યક્તિ હોય.
3. અજાણ્યા કૉલ પર વિશ્વાસ ન કરો
ફ્રોડ કરનારા લોકો ઘણીવાર પોતાને બેંકના કસ્ટમર કેર તરીકે ઓળખાવીને કોલ કરે છે. તાજેતરમાં ગુરુગ્રામમાંથી ચાલતા એક કોલ સેન્ટરે ૩૫૦ SBI ગ્રાહકો પાસેથી OTP, PIN અને CVV જેવી માહિતી મેળવીને ₹૨.૬ કરોડની છેતરપિંડી કરી હતી. તેથી, હંમેશા કોલ કરનારનો નંબર ચેક કરો અને અજાણ્યા કોલ પર વિશ્વાસ ન કરો.
4. શંકાસ્પદ ગતિવિધિની તાત્કાલિક જાણ કરો
જો તમને કોઈ કોલ અથવા મેસેજ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક તમારા બેંકને તેની જાણ કરો. આ ઉપરાંત, તમે સાયબર પોલીસને પણ તેની ફરિયાદ કરી શકો છો.
5. કાર્ડને તરત બ્લોક કરાવો
જો તમને જરા પણ શંકા લાગે કે કોઈએ તમારા કાર્ડની માહિતી મેળવી લીધી છે અથવા કોઈ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયું છે, તો તાત્કાલિક બેંકને ફોન કરો અને તમારું કાર્ડ બ્લોક કરાવી દો. તમે બેંકની એપ્લિકેશનની મદદથી પણ તમારું કાર્ડ સરળતાથી અને તુરંત બ્લોક કરાવી શકો છો.