પાટણ શહેરમાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. શહેરના પદ્મનાથ ચોકડી નજીક આવેલા હાઈરાઈઝ 'ગાયત્રી ફ્લેટ'માં ગઈકાલે બુધવારે બપોરના સમયે એક મકાનમાં ચાલુ એસીમાં અચાનક શોર્ટસર્કિટ બાદ જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે પલભરમાં જ આખા ઘરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટના સમયે ઘરમાં સૂતેલા પાટણ જિલ્લા લોકલ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના મહિલા હેડ કોન્સ્ટેબલ સુરેખાબેન ચૌધરી ઘરની અંદર જ ફસાઈ ગયા હતા અને બહાર નીકળવાની તક ન મળતાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
નોકરીથી પરત ફરીને સૂતા હતા અને કાળ ત્રાટક્યો
મળતી વિગતો અનુસાર, પાટણ આઈબી વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સુરેખાબેન ચૌધરી પોતાની ફરજ પૂરી કરીને ઘરે આવ્યા હતા. બપોરના સમયે તેઓ પોતાના રૂમમાં એસી ચાલુ કરીને સૂતા હતા. આ દરમિયાન એસીમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને અચાનક જ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાંની સાથે જ એસીમાંથી નીકળેલી આગની જ્વાળાઓ અને ઝેરી ધુમાડો આખા રૂમ તેમજ ઘરમાં ફેલાઈ ગયા હતા. બપોરે થયેલા આ અચાનક ધડાકાનો અવાજ સાંભળીને ફ્લેટના અન્ય રહીશો અને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
બહાર ભાગવાની તક પણ ન મળી, રૂમમાં જ મોત
દુર્ઘટના સમયે સુરેખાબેન ઘરમાં એકલા જ હતા. રૂમની અંદર શોર્ટસર્કિટના કારણે લાગેલી આગ એટલી ઝડપથી અને વિકરાળ રીતે ફેલાઈ ગઈ કે સુરેખાબેનને જાગીને ઘરની બહાર ભાગવાનો કે પોતાનો બચાવ કરવાનો સહેજ પણ સમય મળ્યો ન હતો. બ્લાસ્ટને કારણે રૂમમાં રહેલા ગાદલા, પડદા, ફર્નિચર અને અન્ય કપડાં જેવી ચીજવસ્તુઓએ તાત્કાલિક આગ પકડી લીધી હતી, જેના કારણે આગ વધુ પ્રચંડ બની હતી. રૂમમાં ભરાયેલો કેમિકલયુક્ત ઝેરી ધુમાડો શ્વાસમાં ચાલ્યો જવાને કારણે તેઓ બેભાન જેવા થઈ ગયા હતા અને આગની લપેટમાં આવી જતાં ઘટનાસ્થળે જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. ફ્લેટની બારીઓમાંથી ધુમાડાના કાળા ગોટેગોટા નીકળતા જોઈને સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને આ અંગે જાણ કરી હતી.
ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
પોતાના જ વિભાગના એક નિષ્ઠાવાન અને સક્રિય મહિલા પોલીસકર્મીનું આગમાં હોમાઈ જવાથી મોત થયું હોવાના સમાચાર મળતા જ પાટણ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક ગાયત્રી ફ્લેટ ખાતે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જે બાદ પોલીસે રૂમની અંદર પ્રવેશ કરીને મહિલા પોલીસકર્મીનો સંપૂર્ણપણે બળી ગયેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો. એસીમાં બ્લાસ્ટ થવાનું ચોક્કસ ટેકનિકલ કારણ અને શોર્ટસર્કિટની તીવ્રતા જાણવા માટે પોલીસે એફ.એસ.એલ. (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની ટીમને પણ તાત્કાલિક સ્થળ પર બોલાવીને ઝીણવટભરી તપાસ શરૂ કરાવી હતી.
ધારપુર સિવિલ હોસ્પિટલમાં પેનલ પીએમ કરાયું
આ મામલે પાટણ શહેર પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેખાબેનના મૃતદેહને સૌપ્રથમ પીએમ (પોસ્ટમોર્ટમ) માટે પાટણ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ કેસની ગંભીરતાને જોતાં વધુ તપાસ અને વિગતવાર પીએમ માટે મૃતદેહને ધારપુર સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં આજે ગુરુવારની વહેલી સવારે ડોક્ટરોની ખાસ પેનલ ટીમ દ્વારા કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એક બહોળા મિત્રવર્તુળ અને ઉચ્ચ સનિષ્ઠા ધરાવતા મહિલા પોલીસકર્મીના આ રીતે અકાળે અને ભયાનક મોતથી પાટણ પોલીસ બેડા સહિત સમગ્ર પંથકમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.