રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની મસ્જિદોમાં ગઇકાલે રાત્રે પ્રથમ તરાવીહની નમાજ અદા કરાઇ: એક માસ સુધી મુસ્લિમ બીરાદરો ઇબાદત,ઝકાત- ખૈરાત કરી પુણ્યના કામો કરશે: આ વખત સરેરાશ સાડા તેર કલાકના રોઝા રહેશે
મુસ્લિમ સમાજ માટે આસ્થા, સંયમ અને ઇબાદતના પવિત્ર રમઝાન માસ ગઇકાલે ચંદ્ર દર્શન થતા પ્રારંભ થઇ ગયો છે. શરૂ થયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
રમઝાન માસના પ્રારંભ સાથે જ બુધવાર રાતથી શહેરની તમામ મસ્જિદોમાં વિશેષ 'તરાવીહ'ની નમાજ શરૂ ગઇ હતી. હાફિઝો દ્વારા કુરાન શરીફનું પઠન કરાશે, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાઈને અલ્લાહની બંદગી કરશે. આજે વહેલી સવારે 'સેહરી' કર્યા બાદ મુસ્લિમ બિરાદરો પ્રથમ રોજો રાખ્યો છે.
રમઝાન માસમાં દરેક પુખ્ત વયના મુસ્લિમ સ્ત્રી-પુરુષોને ખુદા તરફથી ‘રોઝા' રાખવા ફરજિયાત છે. આ રોઝાએ એક ‘ઉપવાસ' જ છે. જેમાં પરોઢીયેથી લઇ છેક સૂરજ આથમે ત્યાં સુધી મુસ્લિમ ભાઇ-બહેનો રોઝા રાખે છે. અને આ રોઝામાં અન્નજળનો ત્યાગ કરવામાં આવે છે. આમ નર્યા નકોર ઉપવાસ કરવામાં આવે છે એ સાથે દિવસના પાંચ વખતની નમાઝ સમયસર પઢવામાં આવે છે.
એટલું જ નહીં રાત્રે પણ વધારાની ‘સળંગ' તરાવીહની નમાઝ દોઢ કલાક માટે પઢવામાં આવે છે. ઉપરાંત મુસ્લિમો કુઆર્ન પઠન અને ઇબાદતમાં મશગૂલ બની જાય છે. એ જોતા રમઝાન માસ શરૂ થતા જ મુસ્લિમ સમાજમાં આધ્યાત્મિકતા છવાઇ જાય છે.
આધ્યાત્મિક ઉત્સવ સમો તપસ્યાનો અપાર મહિમા અર્થાત રમઝાન માસ આવતા જ મુસ્લિમ સમાજમાં હર્ષ વ્યાપી જાય છે. જેથી રોઝા માસને સત્કારવા ઉત્સાહ પ્રવર્તી રહયો છે.
આ રમઝાન માસમાં દાન-પૂણ્યના કાર્યો પણ એટલા જ કરવામાં આવે છે. જેના લીધે પરોઢીયે ભોજન અર્થાત ‘સહેરી' અને સાંજે રોઝા ખોલાવવા માટેના મનમોહક ભોજનના થાળ એટલે ‘ઇફતારી' યોજાશે.જેના માટે ફ્રુટ ફરસાણ, ઠંડા પીણા માટેની તૈયારીઓ આરંભી દેવાઇ છે.
આ તમામ વચ્ચે ખાસ કરીને રમઝાન મહિનામાં રોઝાનું મહત્વ વધારે છે અને આ રોઝા કયારેક ગરમી વચ્ચે પણ મુસ્લિમ ભાઇ-બહેનો રાખી રોજીંદા કાર્યમાં પ્રવૃત રહે છે. બીજી તરફ ગત વખત કરતા આ વખતે ૧ર દિ' પહેલા રમઝાન માસ શરૂ થયો છે. હાલમાં શિયાળો ચાલી રહ્યો છે. જેના લીધે આ વખતે ઘણા બધા રોઝા ઠંડીના માહોલમાં પસાર થશે. આ વખતે શરૂઆતમાં ૧ર કલાક પ૭ મિનિટનો રોઝો રહેશે અને છેલ્લે ૧૩ કલાક ૩૦ મીનીટનો રોઝો રહેશે.
આ વખતે અડધી કલાક ઓછી થવાના બદલે ૧૩ કલાક ૩૦ મિનિટનો રોઝો થયો છે.આમ આ વખતે ગત વર્ષ પોણા ચૌદ કલાકના રોઝા કરતા માત્ર ૧પ મિનિટ જ ઓછી થઇ છે.આ ઉપરાંત આ વખતે ગુરૂવારે પ્રથમ રોઝો શરૂ થતા તેમાં વિશેષતા તો એ છે કે, રમઝાન માસનો અંતિમ શુક્રવાર જ રમઝાન માસનો છેલ્લો દિવસ જ બની રહેશે જેના લીધે શનિવારે સંભવત ઇદ થશે આમ શનિવારે ઇદ અને બીજા દિવસે રવિવારના લીધે ઇદનો ઉત્સાહ બેવડાશે.