જામનગરના નભો મંડળમાં શનિવારે સાંજે પ્લેનેટ પરેડની ખગોળીય ઘટના સર્જાવા જઈ રહી છે, અને જેના નિદર્શન માટેનો જામનગરના પ્રદર્શન મેદાનમાં તા ૨૮.૦૨.૨૦૨૬ ને શનિવારના સાંજે ૬.૦૦ થી ૭.૦૦ વાગ્યા દરમિયાન ખગોળ મંડળ જામનગર અને રંગતાલી ગ્રુપના સહયોગથી જુદાજુદા ત્રણ ટેલિસ્કોપ ગોઠવી નિદર્શનનો કાર્યકમ યોજાશે, અને ખગોળ પ્રેમીઓને બુધ ગ્રહ, ગુરુ ગ્રહ, શુક્ર ગ્રહ, નેપચ્યુન ગ્રહ, યુરેનશ તથા શનિ ગ્રહ સહિતના અલગ અલગ ગ્રહોનું પ્રત્યક્ષ નિદર્શન કરાવાશે. જેનો સર્વે ખગોળ પ્રેમીઓએ લાભ લેવા અનુરોધ કરાયો છે.
જામનગર સહિતના ખગોળ પ્રેમીઓ માટ્ે આવનારા ૧૦ દિવસો અગત્યના રહેશે. જે પૈકી સૌ પ્રથમ ૨૮ ફેબ્રુઆરી ના રોજ સાંજના સમયે ૬.૦૦ વાગ્યાથી દક્ષિણ - પશ્ર્ચિમ દિશામાં ૬ ગ્રહો એક સાથે હાજર રહેશે. જે ૬ ગ્રહો ની હાજરી એ માત્ર આકાશી નઝારો નથી, પરંતુ ખગોળપ્રેમીઓ માટે નવી ઉત્સુકતા પ્રેરક પ્રસંગ છે, જ્યારે ફોટોગ્રાફરો માટે સર્જનાત્મક પળ બની રહેશે, અને બાળકો માટે નવી પ્રેરણા બની શકે છે.
આગામી ૨૮ ફેબ્રુઆરી શનિવારના રોજ સૂર્યાસ્ત બાદ પશ્ર્ચિમ અને દક્ષિણ-પશ્ર્ચિમ ક્ષિતિજ તરફ આકાશ માં સૂર્યમાળા ના ૬ ગ્રહોની હાજરી રહેશે. આ ઘટના ને ખગોળ ની ભા્ષા માં પ્લેનેટરી પરેડ અથવા પ્લેનેટરી એલાઇનમેન્ટ કહેવામાં આવે છે. આ દિવસે બુધ, શુક્ર, શનિ, નેપ્ચ્યુન, યુરેનસ, અને ગુરુ એક ખગોળીય પટ્ટામાં ગોઠવાયેલા દેખાશે. બ્રહ્માંડ ની દ્રષ્ટિ એ આ ગોઠવણી સરળ રેખામાં નથી હોતી, પરંતુ પૃથ્વી ઉપર થી જોતા ક્રાન્તીવૃતની આસપાસ ગોઠવાયેલા દેખાય છે. સૂર્યમાળા ના તમામ ગ્રહો લગભગ એકજ સમતલ માં પરિભ્રમણ કરે છે, તેથી ક્યારેક અમુક ગ્રહો એક જ વિસ્તારમાં ગોઠવાયેલા દેખાય છે ત્યારે પ્લેનેટરી એલાઇનમેન્ટ કહેવામાં આવે છે.
દરેક ગ્રહો નો સૂર્ય ની આસપાસ પરિભ્રમણ કરવા નો સમય અલગ-અલગ હોય છે, જેમ કે બુધ ૮૮ દિવસમાં, શુક્ર ૨૨૫ દિવસ, પૃથ્વી ૩૬૫ દિવસ, ગુરુ ૧૨ વર્ષ અને શનિ ૨૯ વર્ષે સૂર્ય ની પરિક્રમા કરે છે. તેથી આ તમામ ગ્રહો ક્યારેય એક એક સાથે આકાશમાં દેખાય. આ ઘટના દર વર્ષે થાય તેવું નથી, વર્ષ ૨૦૨૫ ની શરૂઆત માં સાંજ ના સમયે ૬ ગ્રહો આપણા આકાશ માં હાજર હતા, જ્યારે આ વર્ષે મંગળ ગ્રહના સ્થાને બુધ દેખાશે.
ગયે વર્ષે ૨૫ જાન્યુઆરી ના રોજ આવી રીતે ૬ ગ્રહો શહેર ના પશ્ર્ચિમ આકાશ માં પરેડ રુપે એકઠા થયેલા જોવા મળ્યા હતા. આ ખગોળ ના નઝારા ને નિહાળવા માટે પાંચ ટેલિસ્કોપ દ્વારા જાહેર જનતા ને ખગોળ મંડળ જામનગર, રંગતાલી ગૃપ, તથા એમ. ડી. મહેતા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ, દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો હજારો ની સંખ્યામાં ખગોળ પ્રેમીઓએ લાભ લીધો હતો.
આ વખતે પણ જુદા જુદા ૪ ટેલિસ્કોપ ગોઠવીને ૨૮ ફેબ્રુઆરી ના રોજ પ્રદર્શન મેદાન ખાતે આ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ દિવસે સાંજના સમયે સૌ પહેલાં આકાશ માં સૌથી ચમકતો ગ્રહ શુક્ર નજરે પડશે, ત્યાર બાદ આકાશ માં ઉંચે તેજસ્વી ગુરુ નો ગ્રહ દેખાશે, યુરેનસ અને નેપ્ચ્યુન ગ્રહો ખુબ દૂર હોવાથી તેને ગોતવા ટેલિસ્કોપની જરૂર પડે, બુધનો ગ્રહ સૂર્યથી નજીકનો હોવાથી માત્ર થોડા સમય માટે ક્ષિતિજ પાસે નીચે દેખાશે, શનિ નો ગ્રહ સૂર્ય તરફ આગળ વધી રહ્યો છે તેની તેજસ્વીતા +૧ જેટલી હોય નરી આંખે જોઇ શકાશે. તા. ૨૮ ફેબ્રુઆરી ના રોજ ફાગણ સુદ બારસનો ચંદ્ર ૯૨ ટકા પ્રકાશિત પૂર્વ આકાશ માં ઊંચે કર્ક રાશિના બીહી ક્લસ્ટર પાસે જોવા મળશે, આ ક્લસ્ટરને બાઇનોક્યુલર થકી જોઇ શકાશે.
ખગોળીય દ્રષ્ટિ એ અમુક ગ્રહો સાથે હાજર હોય તે સામાન્ય છે, પરંતુ ૬ ગ્રહો એક સાથે સાંજ ના સમયે દેખાય એ વારંવાર નથી બનતું, દરેક ગ્રહો એક સરળ રેખા માં ગોઠવાયેલા હશે, એ હકીકતે દ્રષ્ટિભ્રમ છે, હકીકતે આ તમામ ગ્રહો અવકાશ માં એક બીજથી લાખો - કરોડો કિલોમીટર દૂર જુદી જુદી જગ્યાએ ગોઠવાયેલા હોય છે. સૂર્યમાળાના તમામ ગ્રહો સૂર્ય ની આસપાસ લગભગ એક સમતલ માં પરિભ્રમણ કરતા હોવાથી પૃથ્વી ઉપર થી જોતા એક દિશામાં કે એક પટ્ટા માં દેખાય છે.
તા. ૨૮ ફેબ્રુઆરી, શનિવારના રોજ ખગોળના આ નઝારાને માણવા ખગોળ મંડળ જામનગર, રંગતાલી ગ્રૂપ તથા ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ. ડી. મહેતા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા પ્રદર્શન મેદાન ખાતે સાંજ ૬.૦૦ થી ૭.૦૦ વાગ્ય દરમિયાન વ્યવસ્થા કરવામાં આવી છે. હવે પછી સાંજ ના સમયે આ બધા ગ્રહો ૧૬ વર્ષ બાદ ૨૦૪૦ માં એક સાથે જોવા મળશે.