આજના ભાગદોડ અને સ્પર્ધાત્મક યુગમાં નાની-નાની વાતો પર વધારે પડતું વિચારવુંએ માનસિક તણાવ, ચિંતા અને અશાંતિનું સૌથી મોટું કારણ બની ગયું છે. આ સમસ્યામાંથી કાયમી મુક્તિ મેળવવા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ૫ દિવ્ય અને વ્યવહારિક ઉપદેશ આપ્યા છે, જે કોઈપણ વ્યક્તિને માનસિક રીતે પુનઃ સજ્જ (Reboot) થવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
ગીતાના આ ૫ મહામંત્રો અને તેના આધારે તૈયાર કરેલો રસપ્રદ અહેવાલ નીચે મુજબ છે
જ્યારે આપણે ભવિષ્યના એવા પરિણામો વિશે વિચારીએ છીએ જે આપણા હાથમાં જ નથી, ત્યારે ઓવરથિંકિંગ શરૂ થાય છે. શ્રીકૃષ્ણ કહે છે કે આપણો અધિકાર માત્ર પ્રયત્નો કરવા પર છે, પરિણામ પર નહીં. જો આખી ઊર્જા વર્તમાન કાર્યમાં લગાવવામાં આવે, તો મનની મુંઝવણો આપોઆપ શાંત થઈ જાય છે.
અનાસક્તિ ભાવ કેળવો (સુખ-દુઃખમાં સમાન રહો)
અનાસક્તિ એટલે ઉદાસીનતા નથી, પરંતુ સફળતા કે નિષ્ફળતા સાથે ભાવનાત્મક રીતે અતિશય ન જોડાવું તે છે. જ્યારે આપણે અપેક્ષાઓ અને ડરને મન પર હાવી થવા દઈએ છીએ, ત્યારે મન ભટકવા લાગે છે. જે બાબતો આપણા નિયંત્રણ બહાર છે તેને સ્વીકારીને છોડી દેવી જ હિતધાવહ છે.
મનને સ્થિર અને સંતુલિત બનાવતા શીખો
ગીતા અનુસાર, ખરો સ્થિતપ્રજ્ઞ એ છે જે જીવનના ઉતાર-ચઢાવ, નફા-નુકસાન કે સુખ-દુઃખમાં ડગ્યા વગર શાંત રહે છે. અશાંતિ વચ્ચે પણ મનને એકાગ્ર રાખવાની તાલીમ આપવી જોઈએ. કોઈપણ પરિસ્થિતિમાં ઉતાવળી પ્રતિક્રિયા આપવાના બદલે ધૈર્યપૂર્વક ચિંતન કરવું જોઈએ
પરમ શક્તિ (ઈશ્વર) પ્રત્યે સમર્પણ ભાવ રાખો
ઘણીવાર આપણને એવો ભ્રમ થઈ જાય છે કે આખી પરિસ્થિતિ અથવા દુનિયા ચલાવવાની એકમાત્ર જવાબદારી આપણી જ છે, જેનાથી ઓવરથિંકિંગ જન્મે છે. શ્રીકૃષ્ણ કહે છે કે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ પર ભરોસો રાખીને તમારી બધી ચિંતાઓ તેને સમર્પિત કરી દો. આ શરણાગતિનો ભાવ નિર્ણય લેવાનો માનસિક બોજ હળવો કરે છે.
પરિવર્તનશીલતા અને ક્ષણભંગુરતાનો સ્વીકાર કરો
આ સંસારમાં સુખ અને દુઃખ બંને ક્ષણભંગુર એટલે કે અસ્થાયી છે. વધારે પડતું વિચારવાથી નાની સમસ્યાઓ પણ કાયમી લાગવા માંડે છે અને મોટી બને છે. "આ સમય પણ વીતી જશે" - એ સત્યનો સ્વીકાર કરવાથી ચિંતાઓ આપોઆપ ઓગળી જાય છે અને સહનશીલતા વધે છે