જામ્યુકોની ૧૭ સામાન્ય બેઠક ઘટી, ઘુરંધરોના પતા કપાશે..!
રાજયના ચૂંટણીપંચ દ્રારા મહાનગરપાલીકાઓની આગામી ચૂંટણી માટે વોર્ડ મુજબ અનામતનું નવું રોસ્ટર જાહેર કરવામાં આવતા જામનગર મહાનગરપાલીકામાં કુલ ૬૪ માંથી ૪૪ અનામત અને ૨૦ જનરલ બેઠક રહેશે. આથી અગાઉ જામ્યુકોમાં ૬૪ માંથી ૩૭ બેઠક સામાન્ય હોય ૧૭ જનરલ બેઠક ઘટતા અનેક ધુરંધરોના પતા કપાશે તેમાં બેમત નથી. તમામ ૧૬ વોર્ડમાં કુલ ૪માંથી દરેક બીજી મહીલા અને ચોથી બેઠક સામાન્ય રહેશે. ઓબીસી મહીલા માટે ૮ અને અનુસુચિત જાતિ માટે બે-બે બેઠક રહેશે.
જામનગર સહીત રાજયની અન્ય મહાનગરપાલીકાઓની વર્ષ-૨૦૨૬ની ચૂંટણીને અનુલક્ષીને વોર્ડ મુજબ અનામત બેઠક સહીતની અંતિમ યાદી ચૂંટણી પંચે જાહેર કરી છે. જે અનુસાર જામનગર મહાનગરપાલીકાના ૧૬ વોર્ડની ૬૪ બેઠકમાંથી ૪૪ અનામત અને ૨૦ જનરલ બેઠક જાહેર કરવામાં આવી છે. અનામત બેઠકમાં ૩૨ બેઠક સ્ત્રી અનામત રહેશે. સ્ત્રી અનામત બેઠકમાં ૮ ઓબીસી અને ૨ અનુસૂચિત જાતીની બેઠકો છે. જયારે પુષોની અનામત બેઠકમાં અનુસૂચિત જાતિની બે અને અનુસુચિત આદીજાતિની ૧ બેઠકનો સમાવેશ થાય છે. રાજય ચૂંટણી પંચ દ્રારા જાહેર કરવામાં આવેલા અનામતના નવા રોસ્ટર મુજબ જામનગર મહાપાલીકાના ૧૬ વોર્ડમાં કુલ ૫,૮૭,૩૫૦ મતદારો દર્શાવાયા છે.
જયારે મનપાની કુલ ૬૪ બેઠકની ફાળવણીમાં તમામ વોર્ડમાં કુલ ચાર બેઠકમાં દરેક બીજી બેઠક સામાન્ય મહીલા અનામત અને ચોથી બેઠક જનરલ રહેશે. બાકી રહેતી બેઠક નંબર-૧ માં અનુસુચિત જાતીની મહીલા માટે બે બેઠક, ઓબીસી મહીલા માટે ૮ બેઠકો અને સામાન્ય મહીલા માટે ૬ બેઠક ફાળવવામાં આવી છે. જયારે બેઠક નંબર ૩ માં ઓબીસી માટે ૯, અનુસુચિત જાતિ માટે ૨ અને અનુસુચિત આદી જાતી બેઠકનો સમાવેશ થાય છે. જયારે બેઠક નંબર-૪ સામાન્ય વર્ગ માટે ફાળવવામાં આવી છે. ચૂંટણીપંચ દ્રારા અનામતનું રોસ્ટર જાહેર કરવામાં આવતા જામનગર મહાનગરપાલીકામાં ૧૭ સામાન્ય સીટ કપાઇ છે. કારણ કે, અગાઉ મનપાની કુલ ૬૪ બેઠકમાંથી ૩૭ સામાન્ય બેઠક હતી, જે હવે ૨૦ રહેશે. આથી મનપામાં સામાન્ય બેઠક પર ચૂંટણી લડતા અનેક ધુરંઘરોના પતા કપાશે તેમાં બેમત નથી.