દેવભૂમિ દ્વારકા: શારદાપીઠ કોલેજના ડો. વિનુ વાજાનો 13 લાખનો સંશોધન પ્રોજેક્ટ દિલ્હીની સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા મંજૂર
અનંત વિભૂષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ અને શારદાપીઠ વિદ્યા સભા-ટ્રસ્ટ દ્વારકા સંચાલિત શારદાપીઠ કોલેજ-દ્વારકા માટે ગૌરવની વાત સામે આવી છે. કોલેજના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. વિનુ વાજાનો "અથર્વવેદના પ્રાકૃતિક-કૃષિવિષયક મંત્રોનું ભારતીય જ્ઞાન પરંપરાના આલોકમાં સંપાદન અને અનુવાદ" વિષય પરનો 13 લાખ રૂપિયાનો સંશોધન પ્રોજેક્ટ સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી, દિલ્હી દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે.
આ ગૌરવરૂપ સિદ્ધિ બદલ દ્વારકાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે સમગ્ર કોલેજ પરિવારને આશીર્વાદ પાઠવ્યા હતા. સાથે જ ટ્રસ્ટના મંત્રી બ્રહ્મચારી નારાયણાનંદજીએ પણ રાજીપો વ્યક્ત કરી શુભકામનાઓ આપી હતી.
પ્રોજેક્ટનો ઉદ્દેશ:ભારતવર્ષની દિવ્ય-ભવ્ય ધરોહર એવા ચાર વેદોમાંના એક અથર્વવેદમાં રહેલા પ્રાકૃતિક અને કૃષિ વિષયક મંત્રોનું સંપાદન કરવામાં આવશે. આ મંત્રોનું ભારતીય જ્ઞાન પરંપરાના સંદર્ભમાં અર્થઘટન કરીને તેને લોકભોગ્ય બનાવવામાં આવશે. સમગ્ર સંશોધન સરળ સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી એમ ત્રણ ભાષામાં અનુવાદિત થશે.
સહયોગ:
આ સિદ્ધિ શારદાપીઠ કોલેજના પ્રિન્સીપાલ ડો. સંદીપ એ. વાઢેરના હકારાત્મક સહકાર, શ્રી દ્વારકાધીશ સંસ્કૃત એકેડમી દ્વારકાના પૂર્વ નિયામક પ્રો. ડો. જયપ્રકાશ નારાયણ દ્વિવેદીજીના માર્ગદર્શન અને ડો. વિનુ વાજાના સત પ્રયાસોના પરિણામે હાંસલ થઈ છે.
આ સંશોધન દ્વારા અથર્વવેદમાં રહેલા પ્રકૃતિ અને કૃષિ વિષયક જ્ઞાનને આધુનિક સમયમાં ઉપયોગી બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.