ગુજરાતમાં વર્ષે અધધ...26 કરોડ નાળિયેરનું ઉત્પાદન, ગીરના યુવા ખેડૂતની કમાણી અનોખા પ્રયોગથી રૂ.15 લાખ સુધી પહોંચી

  • May 13, 2026 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું કૃષિ ક્ષેત્ર પરંપરાગત ખેતીમાંથી આધુનિક, ટેક્નોલૉજી-આધારિત અને નિકાસલક્ષી ખેતી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ પરંપરાગત પાકો ઉપરાંત બાગાયતી પાકો અને મૂલ્યવર્ધિત ખેતીને સતત પ્રોત્સાહન મળતા ખેડૂતોની આવકમાં વધારો થયો છે. રાજ્યનો વિશાળ દરિયાકાંઠો નાળિયેરની ખેતી માટે અનુકૂળ હોવાથી તેનો સીધો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. ટેન્ડર કોકોનટની વધતી માંગ અને દરિયાકાંઠાના વિસ્તરણને કારણે ગુજરાતે નાળિયેરની ખેતીમાં રેકોર્ડ ઉત્પાદન નોંધાવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં ટેન્ડર કોકોનટનું ઉત્પાદન અંદાજે 20% વધ્યું

છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં ટેન્ડર કોકોનટના ઉત્પાદનમાં અંદાજે 20 ટકાનો વધારો થયો છે. આજે ખેડૂતો વાર્ષિક લગભગ 26 કરોડ નાળિયેરનું ઉત્પાદન કરે છે. આ આંકડો દર્શાવે છે કે, ગુજરાત બાગાયત ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે. રાજ્યના આશરે 28,000 હેક્ટર વિસ્તારમાં નાળિયેરની ખેતી કરવામાં આવે છે, જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, નવસારી, કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓનો મહત્વનો ફાળો છે. વર્ષ 2024-25ના આંકડા મુજબ, રાજ્યમાં ટેન્ડર કોકોનટની સરેરાશ ઉત્પાદકતા આશરે 9.26 હજાર પ્રતિ હેક્ટર છે.


ખેડૂતોને રાજ્ય સરકાર આપી રહી છે 75% સુધીની સબસિડી

રાજ્યના ખેડૂતો બાગાયત પાકો અને મૂલ્યવર્ધન તરફ વળે એ માટે ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા તાલીમ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સાથે જ, ખેડૂતો પર આર્થિક બોજ ન આવે તે માટે નાળિયેરના વાવેતર પર 75 ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે. ઉપરાંત, મલ્ચિંગ અને ઈન્ટિગ્રેટેડ પેસ્ટ મૅનેજમેન્ટ જેવી પદ્ધતિઓના ઉપયોગથી પાકની ઉત્પાદકતા વધારવામાં મદદ મળી રહે તે હેતુથી તેમાં પણ સહાય આપવામાં આવે છે. આ સિવાય બાગાયત ખાતા હેઠળની નર્સરી પરથી નાળિયેરીના ઊંચી જાત, ઠીંગણી જાત અને હાઈબ્રિડ જાતોના સારી ગુણવતાવાળા રોપા મળી રહે છે. તેમજ ગુજરાત ગ્રીન રિવોલ્યૂશન કંપની લિમિટેડ દ્વારા ટપક સિંચાઈ પદ્ધતિમાં સહાય આપવામાં આવે છે.


નાળિયેર માટે નુકસાનકારક રૂગોસ વ્હાઇટફ્લાયનો નાશ કરવા ગીરના ખેડૂતે અનોખો પ્રયોગ કર્યો

ચોરવાડથી ઊના સુધીનો દરિયાકાંઠાનો વિસ્તાર “લીલી નાઘેર” તરીકે ઓળખાય છે, જ્યાં છેલ્લા બે વર્ષમાં વ્હાઇટફ્લાયના પ્રકોપથી ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ગુજરાત સરકારના માર્ગદર્શન અને ખેડૂતોના પ્રયાસોથી પરિસ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. ગીર જિલ્લાના સૂત્રાપાડાના યુવા ખેડૂત દિનેશ સોલંકીએ આ સમસ્યા માટે દેશી ઉપાય અજમાવીને નાળિયેરના ઉત્પાદન સાથે પોતાની આવકમાં પણ વધારો કર્યો છે. 1000 લિટર પાણીમાં ગોળ અને ગીર ગાયના દૂધનું મિશ્રણ કરીને તેમણે વ્હાઇટફ્લાયનો નાશ કરવામાં સફળતા મેળવી છે.


પહેલાં તેમના ખેતરમાં વર્ષે માત્ર 1,000થી 1,500 નાળિયેરનું ઉત્પાદન થતું હતું, પરંતુ આ પ્રયોગ બાદ ઉત્પાદન વધીને વાર્ષિક 8,000થી 10,000 નાળિયેર જેટલું નોંધાયું છે. આજે તેમની વાર્ષિક આવક અંદાજે રૂ.12થી રૂ.15 લાખ સુધી પહોંચી છે અને તેમની સફળતા જોઈને અન્ય ખેડૂતો પણ આ પદ્ધતિ અપનાવવા પ્રેરાયા છે.


નાળિયેરની ખેતીનો વિસ્તાર 70,000 હેક્ટર સુધી વધારવાનું ગુજરાત સરકારનું લક્ષ્ય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આગામી વર્ષોમાં નાળિયેર હેઠળનો વાવેતર વિસ્તાર 70,000 હેક્ટર સુધી વધારવાનું લક્ષ્ય ધરાવે છે. સાથે જ નાળિયેર આધારિત ઉત્પાદનો જેમ કે વર્જિન કોકોનટ ઓઇલ, કોકોનટ પાઉડર અને પ્રોસેસિંગ દ્વારા મૂલ્યવર્ધન અને નિકાસ બજારોમાં પ્રવેશ માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે. આનાથી ગુજરાત આવનારા સમયમાં નાળિયેર-આધારિત ઉદ્યોગો માટેના વૈશ્વિક હબ તરીકે ઊભરી આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application