જામખંભાળિયા-દ્વારકા હાઈવે માર્ગ પર નડતરરૂપ વીજ લાઈનને ખસેડવા રજૂઆત
ભારતીય કિસાન સંઘ દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત માંગ કરાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુરંગાથી વાડીનાર સુધી બનેલા નેશનલ હાઈવે ઉપર દાત્રાણા પાટીયાથી હાબરડી પાટીયા સુધી એર સ્ટ્રીપ તૈયાર કરવામાં આવી છે. છતાં આ માર્ગ ઉપર હાલ પણ પીજીવીસીએલની ૧૯ જગ્યાએ એચ.ટી. અને એલ.ટી. વીજ લાઈનો રોડને ક્રોસ કરતી હોવાથી ગંભીર અકસ્માત તથા જાનહાનિનો ભય ઉભો થયો છે.
આ મુદ્દે ભારતીય કિસાન સંઘ દ્વારા કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ પીજીવીસીએલ દ્વારા એક પત્રમાં જણાવાયું છે કે વીજ લાઈનો ખસેડવા માટે નેશનલ હાઇવે ઓથોરિટીને તા. ૨૭-૧૦-૨૦૨૩ ના રોજ રૂ. ૬૫,૯૬,૭૯૦ નું અંદાજપત્ર મોકલવામાં આવ્યું હતું. પરંતુ આજદિન સુધી તે રકમ ભરપાઈ કરવામાં આવી નથી. જેના પરિણામે વીજ લાઈન ખસેડવાની કામગીરી અટવાઈ પડી છે.
આ વિસ્તારમાં હાલ મોટા પ્રમાણમાં વિન્ડ ફાર્મ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હોવાથી ભારે વાહનોની અવરજવર વધી ગઈ છે. આવી સ્થિતિમાં રોડ ઉપરથી પસાર થતી વીજ લાઈનોને કારણે અકસ્માત થવાની શક્યતા વધી રહી છે.
ભારતીય કિસાન સંઘ દેવભૂમિ દ્વારકાએ સરકાર, નેશનલ હાઈવે ઓથોરિટી તથા પીજીવીસીએલને આ ગંભીર પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવી વીજ લાઈનો ખસેડવાની કામગીરી વહેલીતકે પૂર્ણ કરવા માંગ કરવામાં આવી છે.