દ્વારકાના યુવાનને અપમાનિત કરી મારી નાખવાની ધમકી
ચાની બદલે આવી ગયેલા મરચાના પેકેટ બદલવા જતા બબાલ
દ્વારકાના ગાયત્રી શક્તિપીઠની સામે ગોમતીઘાટ ખાતે રહેતા અને મૂળ મીઠાપુરના ઉદ્યોગનગર વિસ્તારના રહીશ પ્રવીણભાઈ સાજાભાઈ હાથીયા નામના ૩૭ વર્ષના યુવાન ગત તા. ૮ ના રોજ રાત્રિના સમયે ચિરાગ થોભાણી નામના એક વેપારીની દુકાને વસ્તુ લેવા ગયા હતા. જેમાં ચા ની જગ્યાએ મરચાના પેકેટ આવી ગયેલ હોય, જે બદલાવા છતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદી પ્રવિણભાઈને બિભત્સ ગાળો કાઢી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી, લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. જેના કારણે ફરિયાદી પ્રવીણભાઈને આંગળીમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ થવા પામી હતી.
આટલું જ નહીં, જો તેઓ ફરી આરોપીની દુકાને આવશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે બીએનએસ તથા એટ્રોસિટી એક્ટ અને જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.