હરિપરમાં સોલાર પરિયોજના બની રહી છે ખેડૂતોનો સધિયારો

  • June 05, 2023 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૩૫.૮૩ મેગા વોટ ક્ષમતા સાથે હરિપર સોલાર પરિયોજના તેમજ ૧૨.૫૦ મેગા વોટની ક્ષમતા સાથે છત્તર સોલાર પરિયોજના વડે ખેડૂતોને પુરી પાડવામાં આવી રહી છે રાહત દરે વીજળી: કિસાન સુર્યોદય યોજના હેઠળ દિવસે વીજળી પ્રાપ્ત થતા ખેડૂતોને રાત ઉજાગરા તેમજ અનેક પ્રકારની હાડમારીઓમાંથી મુક્તિ મળી છે

રાજયમાં બિનપરંપરાગત ઉર્જાનો વ્યાપ વધે અને પર્યાવરણનું જતન થાય એ આશયથી ગુજરાતના મુખ્ય મંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દૂરંદેશી નીતિ થકી સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં સૌર ઊર્જા નીતિ અમલી બનાવીને દેશને નવી દિશા આપી. જળવાયું પરિવર્તનની અસર ઓછી કરવા અને ભાવી પેઢી માટે પર્યાવરણના રક્ષણ માટે રાજ્યમાં સોલાર પાર્કના નિર્માણનો નિર્ધાર કર્યો. જેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા કિશાન સૂર્યોદય યોજના હેઠળ સરકારી ખરાબાની જમીન પર સોલાર વીજ મથક લગાવીને કુલ ૨૫૦૦ મેગાવોટ વીજ ઉત્પાદન કરવાનું આયોજન કર્યું હતું.
આ મહા અભિયાન હેઠળ ગુજરાત સરકાર હસ્તેની ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન લીમીટેડ (જી.એસ.ઈ.સી.એલ.) ના સિક્કા યુનિટ દ્વારા જામનગર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદમાં ખરાબાની પડતર જમીનનો સર્વે કરી અને સોલાર વીજ મથક સ્થાપવાનું કાર્ય હાથ પર લીધેલ.જેના ભાગરૂપે હરીપર ખાતે ૪૦ મેગાવોટ ક્ષમતાનો સોલાર વીજ મથક ૧૨૨ હેક્ટર ખરાબાની બિનખેતી લાયક પડતર જમીન પર, કુદરતી વરસાદી નદી-નાળા અને સ્થાનિક પર્યાવરણની કાળજી રાખી, ૧૭૬.૮૯ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો અને આ સોલાર વીજ મથકનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઓકટોબર ૨૦૨૨માં કરવામાં આવ્યું.
આ સોલાર વીજ મથક હાલમાં દૈનિક આશરે ૨,૮૦,૦૦૦ યુનિટનું વીજ ઉત્પાદન કરે છે અને તારીખ ૦૮.૦૫.૨૦૨૩ ના રોજ ૩૨૦,૬૬૩ યુનીટનું દૈનિક મહત્તમ વીજ ઉત્પાદન કરેલ. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છત્તર ખાતે ૮૩.૪૯ કરોડ ના ખર્ચે ૩૯ હેક્ટર ખરાબાની બિન ઉપયોગી જમીન પર ૨૦ મેગાવોટ સોલાર વીજ મથક સ્થાપવાનું કાર્ય હાથ પર ધરેલ જેમાંથી ૧૨.૫ મેગાવોટનું વીજ ઉત્પાદન મે ૨૦૨૩થી કાર્યરત કરવામાં આવ્યું. આ સોલાર વીજ મથક હાલમાં દૈનિક આશરે ૮૦,૦૦૦ યુનિટનું વીજ ઉત્પાદન કરે છે અને તારીખ ૧૨.૦૫.૨૦૨૩ ના રોજ ૯૨,૪૦૦ યુનીટનું દૈનિક મહત્તમ વીજ ઉત્પાદન કરેલ છે.
તદઉપરાંત જામનગર જિલ્લાના બબરઝર ખાતે ૮૮૭ કરોડ ના ખર્ચે ૫૦૫ હેક્ટર ખરાબાની બિન ઉપયોગી જમીન પર ૨૧૦ મેગાવોટ સોલાર વીજ મથક અને નિકાવા ખાતે ૫૭.૮૮ કરોડ ના ખર્ચે ૩૪ હેક્ટર ખરાબાની બિન ઉપયોગી જમીન પર ૧૦ મેગાવોટ સોલાર વીજ મથકનું નિર્માણ કરવાનું કાર્ય હાથ ઉપર છે, જે આ વર્ષના અંત સુધીમાં કાર્યરત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે સોલાર પરિયોજનાના માધ્યમથી કિસાન સુર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી પ્રાપ્ત થતા રાત ઉજાગરા સહિત અનેક પ્રકારની હાડમારીઓમાંથી તેઓને મુક્તિ મળી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application